ગુજરાતના ખેડૂતો પર હજુ માવઠાનુ સંકટ યથાવત રહેશે, રાજ્યમાં આગામી બે દિવસ સુધી સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી પણ કરી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રના કચ્છ, ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદ પડી શકે તેમ છે. આ તરફ ઉતર ગુજરાતના બનાસકાંઠા, સાબર કાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ અને સુરતમાં પણ વરસાદી માહોલ રહી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 21 માર્ચ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા છે.ત્યારે માવઠાને પગલે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કારણ કે ઉનાળુ પાક હાલ ખેતરમાં તૈયાર છે પરંતુ માવઠાના કારણે પાક નુકશાન થવાની ભિતી છે. જેને પગલે ખેડૂતોની ચિંતા વધી છે.
આ તરફ પાટણમાં એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે સમગ્ર પાટણમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તેમજ પાટણમાં પડેલા ભારે વરસાદના પગલે શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાં ધોધમાર વરસાદથી BM સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેના પગલે નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતુ.