ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ ભારે વરસાદના કારણે અનેક રસ્તા જળમગ્ન બન્યા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સયાજીગંજ, રાવપુરા, લહેરીપુરા સહિતના રસ્તા પર પાણી ફરી વળ્યું છે. તો સયાજીગંજ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા રેલવે ગરનાળું વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે. રેલવે ગરનાળું બંધ થતા પશ્ચિમ વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો છે.
બીજી તરફ સુભાનપુરા ઝાંસી રાની સર્કલ વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ભરાયા છે. તો વાઘોડિયાના અનેક વિસ્તારમાં ભારે વરસાદના કારણે હાલાકી જોવા મળી રહી છે. પાંચ દેવલા ગામે ઘરોમાં વરસાદી પાણી ભરાતા 30 જેટલા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને લોકોને પ્રાથમિક શાળા ખાતે ખસેડવામાં આવ્યા છે. તો ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે. ભયજનક જળ સપાટીથી માત્ર 2 ફૂટ જ દૂર છે.