અલ્પેશ કથિરિયાએ ગોંડલને મિર્ઝાપુર સાથે સરખાવ્યુ તો જયરાજસિંહે કહ્યુ બદનામ ન કરો, ચૂંટણીમાં વરરાજા બનીને આવો અણવર નહીં
ગણેશ જાડેજાના પડકાર બાદ ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયાને ગોંડલ આવવા માટે પડકાર ફેંક્યો હતો જે બાદ આ પડકારની સ્વીકાર કરીને અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને જીગીશા પટેલ ગોંડલની મુલાકાતે છે.

ગણેશ જાડેજાના પડકાર બાદ ગોંડલમાં સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયાને ગોંડલ આવવા માટે પડકાર ફેંક્યો હતો જે બાદ આ પડકારની સ્વીકાર કરીને અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને જીગીશા પટેલ ગોંડલની મુલાકાતે છે. જો કે, આ મુલાકાતની સાથે જ ગણેશ જાડેજાના સમર્થકોએ રસ્તા પર કાળા વાવટા બતાવી જોરદાર વિરોધ કર્યો અને એમાંય અલ્પેશ કથીરિયા જ્ઞાતિવાદી હોવાના આક્ષેપ સાથે પોસ્ટર બતાવી વિરોધ નોંધાવ્યો.
આ વિરોધ વચ્ચે અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને જીગીશા પટેલ ગોંડલની મુલાકાતે છે. સૌ પ્રથમ આશાપુરા મંદિરમાં દર્શન કરીને ગોંડલ પ્રવાસની શરૂઆત કરી હતી. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, ગમે તેટલો વિરોધ થાય અમે અમારો પ્રવાસ ચાલુ રાખીશું. ગોંડલમાં જે ભયનો માહોલ ઊભો કરીને ફરતા હતા તે લોકો હવે બૌખલાયા છે, જે જોઈને અમને આનંદ થાય છે. ગોંડલ એ કોઈની જાગીર નથી.
જ્યારે બીજી તરફ ગણેશ જાડેજા પોતે પણ સમર્થકો સાથે રસ્તા પર ઉતર્યા હતા. અલ્પેશ કથીરિયા પર પ્રહાર કરતા ગણેશ જાડેજાએ કહ્યું કે, ગોંડલની જનતાએ જ્ઞાતિવાદી તત્વોનો જાકારો આપ્યો છે અને ગોંડલના તમામ લોકો સ્વંભૂ રીતે વિરોધમાં ઉતર્યા છે. આ ગોંડલની જનતાનો મારા પ્રત્યેનો પ્રેમ છે. બીજી તરફ જયરાજસિંહ જાડેજાએ અલ્પેશ કથીરિયા સહિતના નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે, અહીંની જનતાએ આ લોકોને જવાબ આપ્યો છે.
ગોંડલને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. તદુપરાંત પાસ આંદોલન વખતે નાપાસ થયેલા નેતાઓ હવે વિરોધ કરતા ફરે છે. અલ્પેશ કથીરિયાને ચૂંટણી લડવાનો પડકાર આપતા જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે, ચૂંટણીમાં અણવર બનીને નહીં વરરાજા બનીને આવો. આ સાથે જ જયરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો કે, તેમના સમર્થકોના બેનરો તોડવામાં આવ્યા હતા.