Gandhinagar: વિધાનસભામાં સી પ્લેન અંગે સરકારની કબુલાત, કેમ કરવી પડી સી પ્લેન સેવા બંધ
Gandhinagar: વિધાનસભામાં સી-પ્લેન અંગે પૂછાયેલા કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નનો જવાબ આપતા સરકારે જણાવ્યુ કે ઓપરેશન અને મેઈન્ટેનન્સની મુશ્કેલી તેમજ નાણાંકીય ખોટને લીધે સી પ્લેનને હાલ બંધ કરવામાં આવ્યુ છે જો કે ફરી ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે પણ સરકાર દ્વારા હાલ કોઈ જાહેરાત કરવામાં આવતી નથી.
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ કરાયેલું સી-પ્લેન એપ્રિલ-2021થી બંધ છે. સરકારે આ સર્વિસ ફરી શરૂ કરવા નિર્ણય કર્યા પછી પણ અત્યાર સુધી કોઈ એજન્સીએ રસ બતાવ્યો નથી. આ સી પ્લેન પાછળ અત્યાર સુધીમાં 13.15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. શરૂઆતના દિવસોમાં માલદીવથી લવાયેલુ સી-પ્લેન નિયમિત રીતે ઉડ્યુ હતુ પણ ધીમે ધીમે સી-પ્લેનના મુસાફરો ઘટી ગયા. મુસાફરો ન મળતા અને વારંવાર મેઈન્ટેન્સને કારણે હાલ સી-પ્લેન સેવા બંધ કરવામાં આવી છે.
સી-પ્લેન મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સવાલ પૂછતા સરકારે એવો ખૂલાસો કર્યો કે તા.31મી ઓક્ટોબર 2020થી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી.પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. આ સી-પ્લેન પાછળ અત્યાર સુધીમાં 13,15,06,737 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
સી પ્લેન બંધ થવા અંગે સરકારે જવાબ રજૂ કર્યો કે ફોરેન રજીસ્ટ્રેશન ઍરક્રાફ્ટ હોવાથી ઓપરેશન અને મેઈન્ટેનન્સમાં પ્લેનનું સંચાલન કરનાર કંપનીને ઓપરેટિંગ સંચાલન કરનાર કંપનીને ઓપરેટિંગ કોસ્ટ વધુ પડે છે પરિણામે નાણાંકીય ખોટ આવી રહી છે તે જોતા સી-પ્લેન સેવા 21 એપ્રિલ 2021થી બંધ છે.
વધુમાં સરકાર દ્વારા જણાવાયુ કે સી પ્લેન સર્વિસ ફરી શરૂ કરવા બિડ મગાવી હતી ત્યારે ત્રણ કંપનીએ રસ બતાવ્યો હતો. જેમા મુંબઈની મહેર એવિએશનનો સમાવેશ થાય છે. પરંતુ સરકાર સાથે બેઠક બાદ આ ત્રણ પૈકી એકેય કંપનીએ સર્વિસ શરૂ કરવા તૈયારી બતાવી નથી.