Panchmahal : એક તરફ અંબાજીમાં પ્રસાદને લઈને વિવાદ થઈ રહ્યો છે, તેની વચ્ચે ફરી એક ધાર્મિક સ્થળનો તઘલખી નિર્ણય સામે આવ્યો છે. પાવાગઢ મંદિર દ્વારા પણ તઘલગી નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં છોલેલુ શ્રીફળ લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો વેપારીઓ છોલેલુ શ્રીફળ વેચશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, મંદિરના ટ્રસ્ટીઓએ વોટ્સઅપ ગ્રુપમાં આ નિર્ણય અંગે જણાવ્યુ છે. જેના કારણે શ્રધ્ધાળુઓ અને વેપારીઓમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે.મહત્વનું છે કે આ નિર્ણયનો આજથી અમલ કરવામાં આવશે તેવુ જણાવવામાં આવ્યુ છે.
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મોહનથાળને બદલે ચિક્કીનો પ્રસાદ શરૂ કરવાના નિર્ણયનો વિવાદ હવે વકર્યો છે. દાંતાના રાજવી પરિવારે ચીમકી આપી છે કે અંબાજી મંદિરમાં પ્રસાદ તરીકે ફરી મોહનથાળ શરૂ નહીં થાય તો અમે હાઈકોર્ટ સુધી જઈશુ. તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદે આગામી સમયમાં જલદ આંદોલન કરવાની તૈયારી બતાવી છે. તો આ સાથે જ હવે સંત સમાજ પણ પ્રસાદી મુદે મેદાનમાં આવ્યુ છે. તો એક સમયે ચિક્કીના પ્રસાદના વખાણ કરતા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ તેમના નિવેદનને લઈ ફેરવી તોળ્યુ છે.
મંદિરના મુખ્ય પૂજારીએ સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. જી હા સમગ્ર વિવાદને લઈને અંબાજી ગાદી ટ્રસ્ટ સાથે વાતચીત કરતા તેઓએ સરકારના નિર્ણય સાથે હામી ભરી છે. મંદિરના મુખ્ય પૂજારી દેવાંગ ઠાકરે જણાવ્યુ કે મોહનથાળ બંધ કરવાથી કોઈ પણ પરંપરા તૂટી નથી.