Surat Breaking: ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી વેપારીઓનો વિરોધ, ઉદ્યોગપતિઓની લોન માફ અને સામાન્ય જનતા પર બોજ કેમ?
સુરતના કાપડ ઉદ્યોગમાં UPI વ્યવહારો પર નવા ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગુ થવાની ચર્ચાથી વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. જો આ ચાર્જ લાદવામાં આવશે તો ગ્રાહકો પર શું અસર થશે અને વેપારીઓ કેમ ફરી રોકડ તરફ વળવા મજબૂર બનશે? જાણો વિગતવાર.
સુરતના કાપડ વેપારીઓ માટે UPI હવે માત્ર પેમેન્ટ વિકલ્પ નથી રહ્યો, પરંતુ રોજિંદા કારોબારનું મુખ્ય અંગ બની ગયો છે. કામદારોના પગારથી લઈને સપ્લાયર્સની નાની-મોટી ચૂકવણી સુધીના મોટાભાગના સોદા ડિજિટલ માધ્યમથી થાય છે.
આવા સંજોગોમાં નવા ટ્રાન્ઝેક્શન ચાર્જની ચર્ચાએ નાના વેપારીઓની ચિંતા વધારી દીધી છે. વેપારીઓને ડર છે કે જો ડિજિટલ પેમેન્ટ પર વધારાનો ખર્ચ લાદવામાં આવશે, તો તેમને ફરીથી રોકડ અને ચેક જેવી ધીમી તેમજ જોખમી સિસ્ટમ તરફ વળવું પડશે.
સરકાર દ્વારા ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ‘ડિજિટલ ભારત’નું નિર્માણ કરવાનો અને કાળા નાણાંને જડમૂળથી નાબૂદ કરવાનો હતો, પરંતુ હવે વધતા ટ્રાન્ઝેક્શન્સ જોઈને સરકારની દાનત ડગમગી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે;
એક તરફ મોટા ઉદ્યોગપતિઓ દ્વારા લેવાયેલી કરોડો રૂપિયાની લોનને નજીવી રકમમાં સેટલમેન્ટ કરીને માફ કરી દેવામાં આવે છે અને તેનો સમગ્ર આર્થિક બોજ સામાન્ય જનતા પર લાદી દેવાય છે તેવો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ ઓનલાઇન પેમેન્ટના માધ્યમથી સામાન્ય નાગરિકો અને નાના વેપારીઓને જે સુવિધા તેમજ રાહત મળી રહી હતી તેને પણ છીનવી લેવામાં આવી રહી છે,
જે સંકેત આપે છે કે આગામી સમયમાં રોકડ વ્યવહારો ફરી વધશે અને ઓનલાઇન પેમેન્ટનું અસ્તિત્વ જોખમાશે; આમ, વૈશ્વિક યુદ્ધોના કારણે વધતી જતી મોંઘવારીથી પીસાતી સામાન્ય જનતાના ખિસ્સા પર સરકારનો આ નિર્ણય પડતા પર પાટુ સમાન સાબિત થઈ રહ્યો છે.
આ ચાર્જની સીધી અસર રોજિંદા પેમેન્ટ અને વેપારના નફા પર પડશે. વધેલા ખર્ચના લીધે કાપડ મોંઘું થતાં અંતે બોજ ગ્રાહકોના ખિસ્સા પર જ આવશે. ઉપરાંત, સરકારના ડિજિટલાઇઝેશન મિશનને પણ મોટો ફટકો પડી શકે છે. આથી, સમગ્ર કાપડ બજારના હિતમાં વેપારીઓએ UPI પર કોઈપણ પ્રકારનો ચાર્જ ન લાદવાની માંગ કરી છે.
