Biryani vs Pulao: લગ્નમાં જમવાના મેનુમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા જાનૈયાઓએ કરી મારામારી?- જુઓ Video
શું જમવાના મેનૂમાં પુલાવને બિરયાની કહેતા લગ્નમાં તોફાન મચી શકે? કદાચ આપને નવાઈ લાગશે, પરંતુ અમદાવાદમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
અમદાવાદના કુબેરનગર સ્થિત સિંધુ હોલમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં અચાનક ધમાલ મચી ગઈ. કન્યા પક્ષે જાન પક્ષને જમવાના મેનૂમાં બિરયાની હોવાનું કહ્યું હતું, પરંતુ જમવામાં પુલાવ નીકળતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. થોડી જ વારમાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.
કન્યા પક્ષનો આરોપ છે કે વરરાજા અને તેના સંબંધીઓએ તેમના પર હુમલો કર્યો હતો. મારામારી દરમિયાન લોખંડના ઝારા, તાવેથા અને છરી જેવા હથિયારોના ઉપયોગના આક્ષેપ પણ થયા છે. ઘટનામાં બંને પક્ષના અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કન્યાના પિતા અને કાકીને પણ ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. સાથે જ કન્યા પક્ષે સોનાના દાગીના ગુમ થયાનો પણ આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વરરાજા અને તેના મિત્રની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
જે યુવતીના લગ્ન થવાના હતા, તે હવે દાવો કરી રહી છે કે વરરાજાએ જ હુમલો કરાવ્યો હતો અને તેના સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
લગ્નના જમવાના મેનૂમાં બિરયાનીની જગ્યાએ જાનૈયાઓને પુલાવ પીરસાતા વિવાદ શરૂ થયો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જોકે હવે જોવાનું એ રહેશે કે માત્ર પુલાવનો મુદ્દો જ જવાબદાર હતો કે પછી આ ઝઘડાની પાછળ અન્ય કોઈ કારણ પણ હતું
Input Credit- Mihir Soni- Ahmedabad