ભાવનગર: પરષોતમ સોલંકીએ ભાવનગર ગ્રામ્ય પરથી જીતના આશાવાદ સાથે ભર્યુ ઉમેદવારી પત્ર
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાની મતદાન માટે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ભાવનગર ગ્રામ્ય પરથી કોળી સમાજના દિગ્ગજ ચહેરો એવા પરષોતમ સોલંકીએ તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્ર દાખલ કરવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે અનેક ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમા ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના ભાજપના ઉમેદવાર અને કોળી સમાજના દિગ્ગજ નેતા પરષોતમ સોલંકીએ ઉમેદવારી ફોર્મ ભર્યું. કોળી સેનાના આગેવાનો અને ભાજપના પદાધિકારીઓ ખાસ હાજર રહ્યાં હતા.
પરષોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી પાંચ ટર્મથી ધારાસભ્ય છે. તેમના મત વિસ્તારમાં અનેક વિકાસના કામો પણ કર્યા છે. જેથી પ્રજા વિકાસને પસંદ કરી ફરી એકવાર ભાજપને સમર્થન આપશે તેવો પરષોત્તમ સોલંકીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 1998થી પરષોતમ સોલંકી સતત આ બેઠક પરથી વિજેતા રહ્યા છે. આ બેઠક પર 1972 અને 1995 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ અત્યાર સુધીમાં 5-5 વખત આ બેઠક પરથી જીત્યા છે. જો કે છેલ્લા 5 ટર્મથી અહીં પરષોતમ સોલંકીનું એકચક્રી શાસન રહ્યુ છે.
ફોર્મ ભર્યા બાદ પરષોતમ સોલંકીએ જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ તેમણે નિખાલસતાથી જણાવ્યુ હતુ કે ચૂંટણી જીતશે તો સ્થાનિકોના કોઈ પ્રશ્નો નહીં ઉકેેલાયા હોય તો તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની તેમની પ્રથમ પ્રાથમિક્તા રહેશે. સાથોસાથ કોળી સમાજ વિશે તેમણે જણાવ્યુ હતુ કે કોળી સમાજ તેમનું હ્રદય છે અને તેઓ ઈચ્છે કે કોળી સમાજ ખૂબ આગળ વધે. આ સાથે તેમણે જણાવ્યુ કે તેઓ દરેક વર્ગ માટે કામ કરતા રહેશે.