વડોદરા અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આજે વડોદરાના કેટલાક વિસ્તારોમાંથી વિશ્વામિત્રીના પાણી ઓસર્તા જ કોર્પોરેશન કામે લાગ્યુ છે. વડોદરા કોર્પોરેશન સાથે અમદાવાદ અને સુરત કોર્પોરેશન પણ મદદે જોડાયુ છે.
SMCના 350થી વધુ કર્મચારીને વડોદરામાં કામે લાગ્યા છે. સફાઈ કર્મીઓ ,આરોગ્ય કર્મીઓ એન્જીનીયરીંગ વિભાગના અધિકારીઓ કામે લાગ્યા છે. જેસીબી, વોટર પંપ, ટ્રકો સાથે SMCની ટીમો વડોદરા પહોંચી છે. સાઉથ ઝોન અને નોર્થ ઝોનમાં સફાઈ માટે ટીમો બનાવવામાં આવી છે.
બીજી તરફ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે આરોગ્ય વિભાગે અગમચેતીના પગલે સ્વાસ્થય ચકાસણી હાથ ધરી છે. મંત્રીની સૂચનાથી ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 35 મેડિકલ ટીમ પ્રજાજનોની સેવામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રારંભિક તબક્કે મોકલવામાં આવી છે.