Breaking News : રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ, યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યા સવાલો
ભાયાવદરની HL પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ. યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષા પ્રક્રિયા અને પરિણામ પર ઉઠાવ્યા સવાલો.
રાજકોટ જિલ્લાના ભાયાવદર સ્થિત HL પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં જુનિયર ક્લાર્ક ભરતી પ્રક્રિયા સામે ગંભીર ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એ ભરતી પ્રક્રિયામાં પૂર્વનિયોજિત પસંદગી કરવામાં આવી હોવાનો દાવો કરી સમગ્ર મામલે ન્યાયિક તપાસની માંગ ઉઠાવી છે.
માહિતી મુજબ, ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા ગત 20 સપ્ટેમ્બરે જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ 16 માર્ચના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. જોકે પરિણામ જાહેર થાય તે પહેલાં જ 19 એપ્રિલે યુવરાજસિંહ જાડેજાએ લેખિત રજૂઆત કરી ભુવા હર્ષ અનિલભાઈ નામના ઉમેદવારની પસંદગી નિશ્ચિત હોવાનો આક્ષેપ કર્યો હતો.
આશ્ચર્યજનક રીતે, 1 મેના રોજ જાહેર થયેલા પરિણામમાં હર્ષ ભુવા જ પસંદ થયાનું સામે આવ્યું છે. પરિણામ જાહેર થાય તે પહેલાં જ કરાયેલી ફરિયાદને કારણે હવે સમગ્ર ભરતી પ્રક્રિયા સવાલોના ઘેરામાં આવી ગઈ છે.
યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષા પ્રક્રિયા અંગે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારોને નિશ્ચિત પ્રકારની બોલપેનથી જ પરીક્ષા આપવા માટે ફરજ પાડવામાં આવી હતી, જે પ્રક્રિયાની પારદર્શિતાને લઈને શંકા ઉભી કરે છે.
ઉપરાંત, પસંદ થયેલા ઉમેદવારને 200માંથી 173 ગુણ પ્રાપ્ત થયા હોવાનું સામે આવ્યું છે. યુવરાજસિંહના આક્ષેપ મુજબ, સંબંધિત ઉમેદવારે અગાઉ કોઈપણ ભરતી પરીક્ષામાં અરજી કરી ન હોવા છતાં પહેલી જ પરીક્ષામાં આટલા ઊંચા ગુણ મેળવતા સમગ્ર પ્રક્રિયા અંગે શંકા વધુ ઘેરી બની છે.
વિદ્યાર્થી નેતાએ સમગ્ર ભરતી પ્રક્રિયા રદ્દ કરી ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે. આ મામલો હવે શિક્ષણ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.