અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત, ગળેફાંસો ખાઈને ટૂંકાવ્યું જીવન
આર.ટી.સુસરા ભત્રીજાના લગ્ન હોવાથી પત્ની અને 3 બાળકો સાથે મહારાષ્ટ્ર ગયા હતા. ત્યારબાદ સુરતમાં ફરજ પર હાજર થવાનું હોવાથી આર.ટી.સુસરા સીધા જ સુરત જતા રહ્યા હતા અને ગત રાત્રે જ તેઓ અમદાવાદ પરત ફર્યા હતા. જ્યારે તેમનો પરિવાર લગ્ન પ્રસંગ પતાવીને ગત રાત્રે જ પરત ફર્યો હતો.
અમદાવાદના થલતેજ વિસ્તારમાં IPS આર.ટી.સુસરાની પત્નીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. અંદાજે 50 વર્ષીય સાલુબેને પોતાના રૂમમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધુ છે. સાલુબેન રોજ સવારે વહેલા ઉઠીને પૂજા કરતા હોય છે, પરંતુ આજે ઉઠ્યા ન હોવાથી IPS આરટી સુસરાએ તેમના રૂમનો દરવાજો ખોલીને જોતાં ચોંકી ગયા હતા. તેઓએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. તેમણે કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સામે આવ્યું નથી.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, આર.ટી.સુસરા ભત્રીજાના લગ્ન હોવાથી પત્ની અને 3 બાળકો સાથે મહારાષ્ટ્ર ગયા હતા. ત્યારબાદ સુરતમાં ફરજ પર હાજર થવાનું હોવાથી આર.ટી.સુસરા સીધા જ સુરત જતા રહ્યા હતા અને ગત રાત્રે જ તેઓ અમદાવાદ પરત ફર્યા હતા. જ્યારે તેમનો પરિવાર લગ્ન પ્રસંગ પતાવીને ગત રાત્રે જ પરત ફર્યો હતો. તેમને બે દીકરા અને એક દીકરી છે. બંને દીકરા સુરતમાં તબીબી અભ્યાસ કરે છે. જ્યારે દીકરી USA રહે છે. લગ્ન પ્રસંગ હોવાથી તે USAથી અમદાવાદ આવી હતી. સમગ્ર મામલે હવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસ હાથ ધરી છે.
બંનેના લગ્ન જીવનને 30 વર્ષ પૂર્ણ થતા તેમણે એક મહિના પહેલા લગ્નની એનીવર્સરી પણ ઉજવી હતી. લગ્નજીવન દરમિયાન તેઓને ત્રણ બાળકો પણ છે. પોલીસની પ્રાથમિક તપાસ માં ઘરમાં મનદુઃખના કારણે આપઘાત કર્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. હાલમાં બોડકદેવ પોલીસે અકસ્માત મોત નોંધીને પરિવારના નિવેદન લઈને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
