ગુજરાતમાં વેરવિખેર થઈ રહી છે આમ આદમી પાર્ટી ! રાજુ કરપડા બાદ હવે સાગર રબારીએ આપ્યુ રાજીનામું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સપન્ન થવાની સાથે જ, આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીએ, પાર્ટીને રામ રામ કર્યાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ, આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાં સાવરણો ફેરવ્યો હતો. હવે ચૂંટણી પૂરી થઈ ત્યારે સાગર રબારીએ પાર્ટી ઉપર ઝાંડુ માર્યું છે.
ગુજરાતમાં Aam Aadmi Party (AAP)ને વધુ એક ઝટકો લાગ્યો છે. રાજુ કરપડા બાદ હવે પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ પણ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. સાગર રબારીએ પાર્ટીના સભ્યપદ સહિત તમામ જવાબદારીઓમાંથી પીછેહઠ કરવાની જાહેરાત કરી છે.
સાગર રબારીએ પોતાના રાજીનામામાં જણાવ્યું કે, પાર્ટી સાથે કામ કરવાની તક આપવા બદલ તેઓ આભારી છે. તેમણે સહયોગી નેતાઓ અને કાર્યકરોનો પણ દિલથી આભાર માન્યો હતો. જોકે, રાજીનામું આપવાના ચોક્કસ કારણો વિશે તેમણે વિગતવાર કોઈ ખુલાસો કર્યો નથી.
તેમણે વધુમાં કહ્યું કે, ભલે તેઓ હવે પાર્ટીમાં સક્રિય નહીં રહે, પરંતુ વ્યક્તિગત સંબંધો હંમેશા અકબંધ રહેશે. તેમની આ વાતથી રાજકીય વર્તુળોમાં અનેક અટકળો તેજ થઈ છે. તાજેતરના સમયમાં AAPમાં એક પછી એક નેતાઓના રાજીનામા પક્ષ માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. આગામી સમયમાં આ રાજકીય ફેરફારો પાર્ટીની સ્થિતિ પર શું અસર કરશે, તે જોવાનું રહ્યું.