AI Survey Report: શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારી નોકરી છીનવી લેશે? 81 હજાર લોકોએ આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો ભારતીયોના મનમાં શું
શું AI ખરેખર માનવજાત માટે ખતરો છે? જાણીતી કંપની એન્થ્રોપિકે 159 દેશોના 81,000 લોકો પર કરેલા ગ્લોબલ સર્વેમાં કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આ લિસ્ટમાં ભારતનું વલણ સૌથી અલગ છે, જાણો શું કહે છે દુનિયા...
આજકાલ દરેક જગ્યાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ચર્ચા છે. પરંતુ શું આપણે ખરેખર તેના પર ભરોસો કરી શકીએ? AI દિગ્ગજ કંપની એન્થ્રોપિકે તેના ખાસ મોડલ ‘Claude Interviewer’ દ્વારા 70 ભાષાઓમાં લોકોના ઇન્ટરવ્યુ લઈને આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કર્યો છે.
લોકો કેમ કરી રહ્યા છે AI નો ઉપયોગ?
સર્વે મુજબ, લોકો AI નો ઉપયોગ મોજમજા માટે નહીં પણ કામને સરળ બનાવવા માટે કરી રહ્યા છે:
- પ્રોફેશનલ કામ: 18.8% લોકોએ સ્વીકાર્યું કે તેઓ ઓફિસ અને બિઝનેસના કામ માટે AI અપનાવવા માંગે છે.
- પર્સનલ લાઈફ: 13.7% લોકો પોતાની અંગત જિંદગી અને રોજિંદા કામોને મેનેજ કરવા માટે AI ની મદદ લે છે.
- સમયની બચત: મોટાભાગના લોકો ઈચ્છે છે કે AI તેમના રૂટિન કામો પતાવી દે, જેથી તેઓ વધુ મુશ્કેલ અને ક્રિએટિવ કામો પર ધ્યાન આપી શકે. નવાઈની વાત એ છે કે માત્ર 5.6% લોકો જ ક્રિએટિવ કામો માટે AI નો ઉપયોગ કરે છે.
લોકોના મનમાં રહેલો સૌથી મોટો ડર
ટેકનોલોજી જેટલી ઝડપથી વધી રહી છે, લોકોની ચિંતાઓ પણ એટલી જ વધી છે:
- ભરોસાની કમી: 26.7% લોકો હજુ પણ AI પર સંપૂર્ણ વિશ્વાસ કરવા તૈયાર નથી.
- નોકરી અને અર્થતંત્ર: 22.3% લોકો માને છે કે AI ને કારણે તેમની નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે.
- કંટ્રોલ અને આઝાદી: 21.9% લોકોને ડર છે કે AI ને કારણે તેમની સ્વતંત્રતા પર કાપ મુકાશે અથવા પ્રાઇવસી જોખમાશે.
ભારત અને અન્ય દેશોનું વલણ
આ સર્વેમાં એક રસપ્રદ બાબત સામે આવી છે કે ભારત, બ્રાઝિલ અને ઇઝરાયેલના લોકો AI ને લઈને ખૂબ જ સકારાત્મક (Positive) છે. તેઓ તેને ભવિષ્યની મોટી તક માને છે. બીજી તરફ, અમેરિકા, જાપાન અને ફ્રાન્સના લોકોની મિશ્ર પ્રતિક્રિયા છે. જ્યારે જર્મની, દક્ષિણ કોરિયા અને બ્રિટનના લોકો AI ને લઈને ઘણા શંકાશીલ અને સાવધ જોવા મળ્યા છે.
AI અત્યારે માનવ જીવનનો અવિભાજ્ય હિસ્સો બની રહ્યું છે. તે સમય બચાવવામાં મદદરૂપ તો છે જ, પરંતુ નોકરી અને સુરક્ષાના સવાલો પર હજુ પણ દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે.

