સરકારે સોમવારે (2 જાન્યુઆરી) ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે. ડ્રાફ્ટ મુજબ સરકારે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે સેલ્ફ રેગુલેટરી મિકેનિઝમ, પ્લેયર્સ માટે ફરજિયાત વેરિફિકેશન અને ફિઝિકલ ભારતીય એડ્રેસનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમજ ઓનલાઈન ગેમિંગ કંપનીઓને નવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) નિયમો હેઠળ લાવવામાં આવશે. આ નિયમો વર્ષ 2021માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે જાહેર કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે અગાઉ ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીને સરકાર દ્વારા કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના કાર્યક્ષેત્રમાં લાવવામાં આવી હતી.
સોમવારે બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ અનુસાર, ડ્રાફ્ટમાં સુધારાનો હેતુ ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીના વિકાસને જવાબદાર રીતે સક્ષમ બનાવવાનો છે. ડ્રાફ્ટ અનુસાર તમામ ઓનલાઈન ગેમ્સ અને ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે નિયમો બનાવવામાં આવશે, જે આવતા મહિને ફેબ્રુઆરીથી લાગુ થઈ શકે છે. ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને Metaverse પણ આ નિયમોમાં સામેલ થશે. ડ્રાફ્ટમાં મહિલાઓ અને બાળકો માટે ઓનલાઈન ગેમિંગને વધુ સુરક્ષિત બનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ડ્રાફ્ટ નિયમોમાં કહ્યું છે કે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે ભારતમાં લાગુ થતા કાયદાઓનું પાલન કરવું જરૂરી છે. ઉપરાંત જુગાર કે સટ્ટાબાજીને લગતો કોઈપણ કાયદો આ કંપનીઓને લાગુ પડશે. ઓનલાઈન ગેમિંગ કંપનીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે 2021માં જાહેર કરવામાં આવેલા નવા આઈટી નિયમો હેઠળ આવરી લેવામાં આવશે. નવા ડ્રાફ્ટમાં ઓનલાઈન ગેમિંગ મધ્યસ્થીએ નિયમો હેઠળ જરૂરી નિયમોનું પાલન કરવું પડશે, જેમાં તેના વપરાશકર્તાઓને ઓનલાઈન ગેમ હોસ્ટિંગ, પ્રદર્શન, અપલોડ, પ્રકાશન, ટ્રાન્સમિટ અને શેર ન કરવાની જોગવાઈનો સમાવેશ થાય છે.
ડ્રાફ્ટ અનુસાર સેલ્ફ રેગુલેટરી બોડી આ નિયમોની દેખરેખ કરશે. નિયમોના ડ્રાફ્ટમાં ગેમિંગ કંપનીઓ માટે ચકાસણીની વધારાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. આમાં ઑનલાઇન ગેમ માટે રજીસ્ટ્રેશન અને ગેમમાં સામેલ થનાર વ્યક્તિઓની ડિપોઝિટના ઉપાડ અથવા રિફંડ, જીત અને ફીની વિગતો અને રમતોમાં ભાગ લેનાર વ્યક્તિઓને અન્ય શુલ્ક વિશે જાણ કરવાનો સમાવેશ થાય છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સેલ્ફ રેગુલેટરી બોડી, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય સાથે રજીસ્ટર કરવામાં આવશે. તે ઓનલાઈન ગેમ્સની નોંધણી પણ કરી શકશે જે સભ્યો છે અને જે ચોક્કસ માપદંડોને પૂર્ણ કરે છે. આ સંસ્થા ફરિયાદ નિવારણ પદ્ધતિ દ્વારા ફરિયાદોનું નિરાકરણ પણ કરશે.