હવામાનશાસ્ત્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એસ બાલચંદ્રને જણાવ્યું હતું કે ઉત્તરી તમિલનાડુના ચેન્નાઈ, કાંચીપુરમ અને વિલપુરમ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની અપેક્ષા છે, જ્યારે શહેર અને નગરોમાં આખી રાત ભારે વરસાદ પડ્યો હતો.
પરિસ્થિતિનું સતત નિરીક્ષણ
તંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે પવન આજે સાંજ સુધીમાં પશ્ચિમ/ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ચેન્નાઈની આસપાસના ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠા અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે.
45 કિમી પ્રતિ કલાકની ઝડપે “મજબૂત સપાટીના પવનો” ફૂંકાશે. તેમણે કહ્યું કે લોકોએ બિનજરૂરી રીતે બહાર ન નીકળવું જોઈએ. હવામાન વિભાગ તરફથી નવા આંકડાઓને ટાંકીને કહેવામાં આવ્યુ કે તાંબરમ (ચેંગલપેટ ડીટી)માં 232.9 મીમી, ચોલાવરમ (220 મીમી) અને એન્નોર 205 મીમી વરસાદ નોંધાયો છે.
લોકોના હાલ થયા બેહાલ
તમિલનાડુમાં એવી પરિસ્થિતિ છે કે લોકોને ખાવા કે સૂવા માટે કોઈ જગ્યા નથી મળી રહી.અનેક સ્થળે ભારે પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે. પાણી ભરાવાને કારણે લગભગ 35થી 40 હજાર રહેવાસીઓ પ્રભાવિત થયા છે. લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો પાણીમાં તણાઇ ગયાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે. લોકોને રહેવા માટે કોઇ સ્થળ મળી રહ્યુ નથી.
ઝૂપડપટ્ટીઓમાં વરસાદી પાણી ઘૂસી જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.લોકો તંત્ર પાસે મદદની અપેક્ષાઓ રાખી રહ્યા છે. પાણીનો નિકાલ ન થવાના કારણે ગટરના વહેતા પાણીથી દુર્ગંધ આવી રહી છે ત્યારે હવે કુદરત વધુ તબાહી ન મચાવે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.