ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બન્યા, જય શાહે કરી જાહેરાત
ગૌતમ ગંભીર તાજેતરમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર બન્યો હતો અને તેના નેતૃત્વમાં કોલકાતાએ 10 વર્ષની રાહ જોયા બાદ IPL 2024નો ખિતાબ જીત્યો હતો. ત્યારથી BCCI ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો કોચ બનાવવા માટે મનાવી રહ્યું હતું, ત્યારપછી ગંભીરે આ ભૂમિકા માટે ઈન્ટરવ્યુ આપ્યો હતો, અને હવે BCCIએ પૂર્વ સ્ટાર ઓપનર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાની જવાબદારી સોંપી છે.
ટીમ ઈન્ડિયાને નવા હેડ કોચ મળી ગયા છે. તમામ અટકળોને સાચી સાબિત કરતા BCCIએ પૂર્વ સ્ટાર ઓપનર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાની જવાબદારી સોંપી છે. BCCI સેક્રેટરી જય શાહે મંગળવારે 9 જુલાઈએ ગંભીરના નામની જાહેરાત કરી અને ટીમ ઈન્ડિયામાં તેનું સ્વાગત કર્યું. ગયા મહિના સુધી, ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર હતો, જ્યાં તેના નેતૃત્વ હેઠળ, KKR એ 10 વર્ષની લાંબી રાહ જોયા બાદ IPL 2024 નો ખિતાબ જીત્યો હતો.
રાહુલ દ્રવિડનું સ્થાન લેશે ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીર કોચ તરીકે રાહુલ દ્રવિડનું સ્થાન લેશે, જેણે T20 વર્લ્ડ કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે પોતાની સફર સમાપ્ત કરી હતી. કોચ તરીકે ગંભીરની નિમણૂકની લાંબા સમયથી અપેક્ષા હતી. મેન્ટર તરીકે કોલકાતા IPL ચેમ્પિયન બન્યું ત્યારથી BCCI ગંભીરના સંપર્કમાં હતું, ત્યારબાદ ગંભીરે ઔપચારિક રીતે અરજી કરી હતી અને પછી ગયા મહિને ક્રિકેટ સલાહકાર સમિતિને ઈન્ટરવ્યુ પણ આપ્યો હતો.
ભારતીય ક્રિકેટ માટે ગંભીર રોલ મોડલ
જય શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ગંભીરના નામની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આધુનિક ક્રિકેટમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે અને ગંભીરે આ ફેરફારોને નજીકથી જોયા છે. ગંભીરની મહેનત અને વિવિધ ભૂમિકાઓમાં સફળતાની પ્રશંસા કરતા શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે ગંભીર એક આદર્શ વ્યક્તિત્વ છે.
It is with immense pleasure that I welcome Mr @GautamGambhir as the new Head Coach of the Indian Cricket Team. Modern-day cricket has evolved rapidly, and Gautam has witnessed this changing landscape up close. Having endured the grind and excelled in various roles throughout his… pic.twitter.com/bvXyP47kqJ
— Jay Shah (@JayShah) July 9, 2024
BCCI તરફથી સંપૂર્ણ સમર્થનની ખાતરી
ગૌતમ ગંભીરના સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને લાંબા અનુભવને ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ ગણાવતા શાહે તેને વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ ટીમના કોચ માટે યોગ્ય પસંદગી ગણાવી હતી અને તેને BCCI તરફથી સંપૂર્ણ સમર્થનની ખાતરી પણ આપી હતી.
ગંભીર ક્યાં સુધી મુખ્ય કોચ તરીકે રહેશે?
રાહુલ દ્રવિડ નવેમ્બર 2021માં ટીમ ઈન્ડિયાના કોચ બન્યા હતા અને તેમને 2 વર્ષનો કાર્યકાળ આપવામાં આવ્યો હતો. દ્રવિડનો સમય ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ સાથે સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ તેમ છતાં, BCCIએ તેમને T20 વર્લ્ડ કપ સુધી એક્સટેન્શન આપ્યું હતું. જોકે, ગંભીરને શરૂઆતથી જ લાંબો કાર્યકાળ મળશે. જ્યારે BCCIએ મે મહિનામાં નવા મુખ્ય કોચ માટે જાહેરાત બહાર પાડી ત્યારે તેણે સ્પષ્ટ કર્યું હતું કે નવા કોચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2027 સુધી એટલે કે સાડા ત્રણ વર્ષનો રહેશે.
આ પણ વાંચો: IND vs ZIM: દમદાર બેટિંગનું રિંકુ સિંહને મળશે ચોંકાવનારું ઈનામ, ફરી એકવાર ટીમ ઈન્ડિયામાંથી થશે ડ્રોપ?