
ODI World Cup 2027, India Squad: 2027 ઓક્ટોબર-નવેમ્બરમાં વન-ડે વર્લ્ડ કપ યોજાઇ રહ્યો છે. સાઉથ આફ્રિકા, ઝીમ્બાબ્વે અને નામીબિયામાં રમાશે. આ ICC ટુર્નામેન્ટને લઈને ટીમ ઇન્ડિયાની તૈયારીઓ 2026 પછી શરૂ થઈ શકે છે. સવાલ એવા ખેલાડીઓને પસંદ કરવાનો હશે જે 2023 વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હારના દુખને 2027માં દૂર કરી શકે. જો 2023 વનડે વર્લ્ડ કપની ટીમ સાથે સરખામણી કરીએ તો, 2027માં 5 ખેલાડીઓનું રમવું અત્યારથી જ મુશ્કેલ લાગી રહ્યું છે. ગત વર્લ્ડ કપની સરખામણીએ 2027 વર્લ્ડ કપની ટીમ ઈન્ડિયા કેટલી બદલાયેલી હોઈ શકે છે, ચાલો તેના પર એક નજર કરીએ.
વનડે વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઇન્ડિયામાં 17 ખેલાડીઓનું સેલેક્શન થયું હતું. રોહિત શર્માની કપ્તાની વાળી ભારતની તે વર્લ્ડ કપની ટીમમાં વિરાટ કોહલી, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, આર. અશ્વિન, શાર્દુલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્નાના નામ સામેલ છે. 2023 વર્લ્ડ કપના આ 17 ખેલાડીઓમાંથી ઓછામાં ઓછા 5 ખેલાડીઓ વનડે વર્લ્ડ કપ 2027ની ટીમ ઈન્ડિયામાંથી બહાર થવાની શક્યતા છે.
હવે સવાલ એ છે કે 2023 વનડે વર્લ્ડ કપ રમનારા તે કયા 5 ખેલાડીઓ હશે, જે 2027માં નહીં રમે? આ યાદીમાં પહેલું કન્ફર્મ નામ આર. અશ્વિનનું છે, જેઓ 2024માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યા છે.
બીજો ખેલાડી સૂર્યકુમાર યાદવ હોઈ શકે છે. 2027 વનડે વર્લ્ડ કપ સુધી સૂર્યકુમાર યાદવ 36 વર્ષનો થઈ ગયો હશે. ઉંમરને જો ધ્યાનમાં ના લઈએ, તો વનડેમાં સૂર્યાનું પ્રદર્શન સવાલોના ઘેરામાં દેખાય છે. 2023 વનડે વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવે 7 ઇનિંગ્સમાં 17.66ની સરેરાશથી માત્ર 106 રન બનાવ્યા હતા. સૌથી મોટી વાત એ છે કે તેમણે 2023 વનડે વર્લ્ડ કપ પછી એક પણ વનડે મેચ રમી નથી, જે દર્શાવે છે કે 50 ઓવરના ફોર્મેટમાં તેઓ ભારતીય ટીમ મેનેજમેન્ટના ગેમ પ્લાનનો હિસ્સો દેખાતા નથી.
શાર્દૂલ ઠાકુર પણ ભારત માટે 2027 વનડે વર્લ્ડ કપ રમતા જોવા નહીં મળે તેવું લાગી રહ્યું છે. સૂર્યાની જેમ તે પણ 2023 વર્લ્ડ કપ પછી ભારતની વનડે ટીમની બહાર છે, જે 2027માં યોજાનારી ICC ઇવેન્ટમાં તેના ન રમવાનું સૌથી મોટું કારણ બની શકે છે. આ સિવાય 2023 વર્લ્ડ કપમાં શાર્દુલનું પ્રદર્શન પણ અપેક્ષા મુજબ રહ્યું ન હતું.
મોહમ્મદ શમીથી પણ હવે એવું લાગે છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટે મોઢું ફેરવી લીધું છે. તે તેનાથી આગળનું વિચારી રહ્યા છે અને આ બાબતે અનેક રિપોર્ટ્સ પણ દાવો કરી ચૂક્યા છે. શમીએ છેલ્લી વનડે માર્ચ 2025માં રમી હતી. એટલે કે એક વર્ષથી તેઓ ભારત માટે વનડે રમ્યો નથી. આના પરથી ખ્યાલ આવે છે કે 2027ની વર્લ્ડ કપ ટીમમાં તેનું પણ સ્થાન બનાવવું મુશ્કેલ છે. જોકે, 2023ના વનડે વર્લ્ડ કપમાં શમીનું પ્રદર્શન અન્ય ભારતીય બોલરોની સરખામણીએ સૌથી શાનદાર રહ્યું હતું. તેણે 7 મેચમાં 24 વિકેટ લીધી હાતી.
ઈન્જરી અને ફોર્મ સાથે સતત સંઘર્ષ કરી રહેલા પ્રસિદ્ધ ક્રિષ્ના માટે પણ 2027 વનડે વર્લ્ડ કપમાં સ્થાન બનાવવું મુશ્કેલ હોઈ શકે છે. જોકે, તેમણે પોતાની છેલ્લી વનડે આ વર્ષે જાન્યુઆરીમાં રમી છે, પરંતુ 2023 વનડે વર્લ્ડ કપમાં એક પણ મેચ ન રમનાર આ ખેલાડીને 2027ની વર્લ્ડ કપ ટીમમાં તક મળશે કે કેમ, તેને લઈને સસ્પેન્સ છે.
સ્પષ્ટ છે કે 2023 વનડે વર્લ્ડ કપમાં રમનાર આ 5 ખેલાડીઓ જ્યારે બહાર થશે, ત્યારે 2027ની વર્લ્ડ કપ ટીમમાં 5 નવા ચહેરાઓની એન્ટ્રી પણ થશે. પરંતુ તે 5 નવા ચહેરાઓ કોણ હોઈ શકે છે, તેની જાણ આવનારા સમયમાં જ થશે.
IPL Records: શું કોઈ બૅટ્સમેન કોહલીના 973 રનનો રેકોર્ડ તોડી શકશે ? જુઓ IPLના એવા રેકોર્ડ્સ જેને તોડવા ‘Impossible’