‘BCCI’ લેશે ‘મોટો નિર્ણય’… ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં ફેરફારના સંકેત, હવે આ દિગ્ગજ આપશે ‘રાજીનામું’
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે સિરીઝ શરૂ થઈ ચૂકી છે પણ આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના એક ખાસ સભ્ય ટૂંક સમયમાં પોતાનો હોદ્દો છોડી શકે છે. તેમણે આ અંગે બીસીસીઆઈ (BCCI) ને પણ જાણ કરી દીધી છે.

ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં આગામી સમયમાં કેટલાક મોટા અને મહત્વના ફેરફારો જોવા મળી શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે સિરીઝની શરૂઆત થઈ ચૂકી છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોશેટ ટીમનો સાથ છોડવા માંગે છે.
તેમણે બીસીસીઆઈ (BCCI) ને પણ આ અંગે જણાવી દીધું છે અને જો બધું બરાબર રહ્યું તો શક્ય છે કે, ઇંગ્લેન્ડ સિરીઝ બાદ તેઓ પદમુક્ત થઈને પરત ફરી જાય.
આસિસ્ટન્ટ કોચ ‘Ryan Ten Doeschate’ છોડી શકે છે ‘પોતાનું કામ’
ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. તાજેતરમાં જ ટી-20 સિરીઝ સમાપ્ત થઈ છે, જેમાં ટીમ ઇન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હવે વન-ડે સિરીઝ રમાઈ રહી છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે, ટીમ ઇન્ડિયાના આસિસ્ટન્ટ કોચ Ryan Ten Doeschate હવે પોતાનું પદ છોડવા માંગે છે.
BREAKING
The England ODI series could be Ryan ten Doeschate’s final stint as part of the India coaching setup.#ENGvIND pic.twitter.com/vG5MjSRp7t
— Cricbuzz (@cricbuzz) July 14, 2026
Cricbuzz ના એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, રાયન ટેન ડોશેટે બીસીસીઆઈને આ અંગે જાણ કરી દીધી છે. જો ત્યાંથી લીલી ઝંડી મળશે તો તેઓ ટૂંક સમયમાં જ ટીમનો સાથ છોડીને ચાલ્યા જશે. ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ વન-ડે સિરીઝની છેલ્લી મેચ 19 જુલાઈએ રમાશે. શક્ય છે કે, ટીમ સાથેનો તેમનો આ છેલ્લો દિવસ હોય.
લંડનમાં પરિવાર સાથે વિતાવવા માંગે છે ‘સમય’
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેમને કામને લઈને કોઈ પણ પ્રકારની નારાજગી નથી. તેમણે આ નિર્ણય પારિવારિક કારણોસર લીધો છે. તેમનો પરિવાર લંડનમાં રહે છે, જેમાં પત્ની અને ત્રણ દીકરાઓ છે. તેઓ તેમની સાથે સમય વિતાવવા માંગે છે. મળતી માહિતી મુજબ, ટીમના હેડ કોચ તેમને રોકવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ તેઓ હવે રોકાય તેવી શક્યતા ઓછી છે.
BCCI ટૂંક સમયમાં લઈ શકે છે ‘નિર્ણય’
ટેન ડોશેટ છેલ્લા અંદાજે બે વર્ષથી ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલા છે. આ દરમિયાન ભારતીય ટીમે ઘણી મેચો અને ટૂર્નામેન્ટ જીતી છે, તો હારનો સ્વાદ પણ ચાખવો પડ્યો છે. આ સમયગાળા દરમિયાન ટેન ડોશેટે તેમના કોન્ટ્રેક્ટનો શરૂઆતનો સમય પૂરો કરી લીધો છે.
ટેન ડોશેટ ભલે આસિસ્ટન્ટ કોચની ભૂમિકામાં જોવા મળ્યા હોય પરંતુ તેમણે ટીમ ઇન્ડિયાની ફીલ્ડિંગ પર ઘણું કામ કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે, BCCI આગામી દિવસોમાં આ સમગ્ર મામલે શું નિર્ણય લે છે.
