બંગાળની ટીમ છોડવા તૈયાર છે રિદ્ધિમાન સાહા, પત્ની રોમીએ શેર કર્યું ‘દર્દ’
વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે IPL 2022માં ગુજરાત ટાઇટન્સ માટે 8 મેચ રમી, 40.14ની એવરેજથી 281 રન બનાવ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) સ્ટાર વિકેટકીપર (Wicket Keeper) રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) માટે આ વર્ષ જાણે કે ખૂબ ચર્ચાસ્પદ સાબિત થયું છે. રિદ્ધિમાન સાહા આ વર્ષની શરૂઆતથી જ સતત ચર્ચામાં રહ્યો છે. આ પૂર્વે તેને શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેણે ટીમના કોચ રાહુલ દ્રવિડ અને BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી વિશે પણ નિવેદન આપ્યું હતું. તે સમયે પણ રિદ્ધિમાન ખૂબ ચર્ચામાં હતો. પત્રકાર બોરિયા મજુમદારે તેને ધમકી આપી હતી, ત્યારે સાહાએ તેમની ચેટનો પર્દાફાશ કર્યો હતો. આ ઘટના બાદ, બીસીસીઆઈએ પણ તે પત્રકાર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
સાહાએ IPL 2022ની સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે શાનદાર ઇનિંગ્સ રમી હતી, અને ત્યારે પણ તે ચર્ચામાં આવ્યો હતો. રિદ્ધિમાન સાહા જો કે, અત્યારે કોઈ અલગ બાબતને લઈને જ ચર્ચામાં આવ્યો હતો. આ વર્ષે, પશ્ચિમ બંગાળે રિદ્ધિમાન સાહાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હવે સાહાએ બંગાળ ક્રિકેટ ટીમ છોડવાનો નિર્ણય લીધો છે. તે હવે બીજી કોઈ ટીમ તરફથી રણજી ટ્રોફી મેચ રમવા માંગે છે.
રિદ્ધિમાન હવે બંગાળની ટીમ છોડવા માંગે છે
આ અંગે 37 વર્ષીય, રિદ્ધિમાન સાહાની પત્ની રોમી મિત્રાએ પણ વાત કરી હતી. તેની જણાવ્યું હતું કે, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના અધિકારી દેવવ્રત દાસના નિવેદનથી સાહાને ઘણું દુઃખ થયું છે. તેમણે મીડિયા સામે આવીને સાહાની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવ્યા હતા.
રોમીએ સ્પોર્ટ સ્ટારને કહ્યું કે, ‘બંગાળની ટીમની પસંદગી થયા બાદ સાહાએ અધિકારીઓ સાથે આખા મામલાની વાત કરી હતી. દાલમિયાએ તેને ફરીથી ટીમ માટે રમવા માટે કહ્યું હતું, પરંતુ રિદ્ધિમાને સ્પષ્ટપણે કહ્યું હતું કે, તેની પ્રતિબદ્ધતા અંગે ઉઠતા અનેક સવાલો વચ્ચે હવે રમવું તેના માટે શક્ય નથી.
રિદ્ધિમાને CAB પ્રમુખ પાસેથી NOC માંગ્યું
લોકપ્રિય વિકેટકીપર સાહાના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, રિદ્ધિમાને અંગત કારણોસર આ વર્ષે રણજી નોકઆઉટ મેચ ન રમવાનો નિર્ણય કર્યો છે. ટીમમાં જોડાતા પહેલા પણ સાહા સાથે વાત કરવામાં આવી ન હતી. રિદ્ધિમાને CAB પ્રમુખ અભિષેક દાલમિયા સાથે બંગાળની ટીમ છોડવા અંગે વાત કરી છે. રિદ્ધિમાને અભિષેક પાસેથી NOC માંગ્યું છે. CAB અધિકારી દેવવ્રતના નિવેદનથી રિદ્ધિમાન ખૂબ જ દુઃખી થયો છે. તેણે સાહાની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવ્યા હતા. હવે રિદ્ધિમાન સાહા દેવવ્રત તેની જાહેરમાં માફી માંગે તેવું ઈચ્છે છે.