ક્રિકેટ (Cricket) માં કેટલાક દિગ્ગજ એવા છે જેમણે ક્યારેક બેટથી તો ક્યારેક બોલથી દુનિયાનું દિલ જીત્યું છે. જેમણે ક્રિકેટના મેદાન પર પોતાની કળા બતાવી છે તેમને ખાસ સ્થાન મળ્યું છે. માત્ર ક્રિકેટની દુનિયામાં જ નહીં અલગ-અલગ રમતોમાં પણ આવા અનેક ઉદાહરણો છે જેમાં તેણે પહેરેલી જર્સી (Jersey) ને પણ તે ખેલાડી સાથે કાયમ માટે નિવૃત્ત કરી દેવામાં આવી છે.
ફિલ હ્યુજીસ
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલ હ્યુજીસ (Phillip Hughes) મેદાન પર જે જર્સી પહેરતો હતો તે એક આઘાતજનક અકસ્માત બાદ નિવૃત્ત થઈ ગયો હતો. 2014 માં ઘરઆંગણે રમાયેલી મેચ દરમિયાન ફિલ હ્યુજીસને માથામાં વાગ્યું હતું. ત્યાર બાદ તેની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમના સન્માનમાં ફિલ હ્યુજીસની જર્સી નંબર 64 ને કાયમી ધોરણે નિવૃત્ત કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓ ક્રિકેટના મેદાન પર આ નંબરની જર્સીમાં ક્યારેય જોવા નહીં મળે.
પારસ ખડકા
નેપાળ ક્રિકેટ ટીમના જાણિતા સુકાની પારસ ખડકા (Paras Khadka) એ ઓગસ્ટ 2021માં નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેના દ્વારા ટીમમાં આપેલા યોગદાનને ધ્યાનમાં રાખીને ક્રિકેટ બોર્ડે વિશેષ સન્માન આપવાનો નિર્ણય કર્યો હતો. પારસ ખડકા નેપાળ તરફથી 77 નંબરની જર્સીમાં રમ્યો હતો અને તેને કાયમ માટે નિવૃત્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે નેપાળની ટીમનો કોઈ ખેલાડી આ જર્સી પહેરીને મેદાનમાં નહીં આવે.
સચિન તેંડુલકર
ક્રિકેટની દુનિયાના ભગવાન અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે (Sachin Tendulkar) બે દાયકાથી વધુ સમય સુધી વિશ્વ ક્રિકેટ પર રાજ કર્યું. બીસીસીઆઈ (BCCI) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન, સૌથી વધુ સદી અને સૌથી વધુ મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર મહાન વ્યક્તિના સન્માનમાં તેની 10 નંબરની જર્સીને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો હતો.
વર્ષ 2013 માં વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી મેચ રમ્યા બાદ સચિને ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું અને થોડા વર્ષો બાદ શાર્દુલ ઠાકુર આ જર્સીમાં ભારત માટે મેદાન પર રમવા આવ્યો. સચિનના જર્સી નંબરમાં રમ્યા બાદ લોકોએ BCCI પર નિશાન સાધ્યું અને સાથે જ શાર્દુલની પણ ભારે ટીકા થઈ. આ પછી બોર્ડે નિર્ણય લીધો કે આ જર્સીને નિવૃત્ત કરી દેવી જોઈએ.