PAK vs ENG: પાકિસ્તાનનો કેપ્ટન વિવાદમાં સપડાયો, કરાંચીમાં સુરક્ષા કર્મીઓ સાથે ઝઘડી પડ્યો
કરાંચીમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાઈ રહી છે. ટેસ્ટના બીજા દિવસની રમત માટે પાકિસ્તાનનો સુકાની નિયત સમયે મેદાનમાં હાજર થયો જ નહીં અને આ માટે હવે ચર્ચા જામી પડી છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમની હાલત ઘર આંગણે જ કફોડી બની ગઈ છે. આ વખતે ઈગ્લેન્ડની ટીમે પાકિસ્તાનની હાલત ખરાબ કરી દીધી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ હાર આપી હતી. ઈંગ્લીશ ટીમે પ્રથમ બંને ટેસ્ટ મેચ જીતી લઈને શ્રેણી પોતાના કબ્જામાં કરી લીધી છે. આ દરમિયાન હવે બાબર આઝમના નામનો વિવાદ સામે આવવા લાગ્યો છે. ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ કરાંચીમાં રમાઈ રહી છે, જ્યાં બાબર આઝમના નામનો વિવાદ મેચના બીજા દિવસે સર્જાયો છે. બીજા દિવસની રમત માટે બાબર નિયત સમયે મેદાન પર પહોંચ્યો જ નહીં અને આ માટે તેનો સુરક્ષાકર્મીઓ સાથે ઝઘડો બતાવવામાં આવી રહ્યો છે.
કરાચી ટેસ્ટમાં બીજા દિવસની રમત માટે બાબરનુ મોડું પહોંચવાનુ કારણ સુરક્ષા કર્મીઓ સાથેની બબાલને માનવામાં આવી રહી છે. આ ઝઘડો કરાચીમાં હોટલમાં સર્જાયો હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે.
કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કર્મચારીઓ સાથે બાબર ઝઘડ્યો
પાકિસ્તાનમાં પ્રવાસ ખેડવો એટલે જોખમથી ભરેલો છે. જેને લઈ પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાથી વિશ્વની ક્રિકેટ ટીમો દુર રહી હતી. આ દરમિયાન હવે 17 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી ઈંગ્લેન્ડની ટીમને અસુરક્ષાનો કોઈ અનુભવ ના થાય. આવી જ કડક સુરક્ષા વ્યવસ્થા પાકિસ્તાનની ક્રિકેટ ટીમના માટે પણ ગોઠવવામાં આવી છે.
બાબર એક કલાક જેટલો મોડો મેદાનમાં પહોંચ્યો હતો. તે પાકિસ્તાનની ટીમ સાથે મેદાન પર પહોંચી શક્યો નહોતો. આ વાતને લઈ આશ્ચર્ય સર્જાયુ હતુ અને ચર્ચાઓ પણ ખૂબ શરુ થઈ ગઈ હતી. આ દરમિયાન પાકિસ્તાનના પત્રકારે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે ટીમના કેપ્ટન બાબર આઝમને ઝઘડો થયો હતો. આ ઝઘડો હોટલમાં સુરક્ષા કર્મીઓ સાથે થયો હતો. જેને લઈને જ તે મોડો પડ્યો હતો. પાકિસ્તાની પત્રકારે લખ્યુ હતુ કે, કેપ્ટન બાબર આઝમ ટીમ સાથે ના આવ્યો. એવી અફવા છે કે તેને હોટલમાં સુરક્ષા કર્મીઓ સાથે ઝઘડો થયો છે અને તેના વિરોધમાં ટીમ સાથે તે ગયો નહીં.