Mohamamd Azharuddin પર તપાસનો કસાયો ગાળીયો, હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ પદેથી હટાવાયા
ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ કેપ્ટન મહંમદ અઝહરુદ્દીન (Mohamamd Azharuddin) પર મુશ્કેલીઓ સર્જાઇ છે. અઝહરુદ્દીનને હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન (Hyderabad Cricket Association) ના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે.
ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ કેપ્ટન મહંમદ અઝહરુદ્દીન (Mohamamd Azharuddin) પર મુશ્કેલીઓ સર્જાઇ છે. અઝહરુદ્દીનને હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન (Hyderabad Cricket Association) ના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. અઝહરુદ્દીન પર નિયમોના ઉલ્લંઘન જેવી બાબતોના આરોપોને લઇને આ પગલુ ભરવામાં આવ્યુ છે.
TV9 રિપોર્ટસ મુજબ તેમની સામે, તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસના અંત સુધી તેઓ અધ્યક્ષ પદથી દુર રહેશે. એપેક્સ કાઉન્સીલ એ અઝહરુદ્દીનને એક નોટીસ પાઠવી છે, જે મુજબ તેમનુ સભ્યપદ પણ રદ કરી દેવામાં આવ્યુ છે.
મહંમદ અઝહરુદ્દીનને સપ્ટેમ્બર 2019 માં હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ પદે નિમણૂંક કરવામાં આવી હતી. TV9 ખબર મુજબ 10 જૂને એપેક્સ કાઉન્સીલ ની બેઠકમાં અનેક સભ્યોએ અઝહરુદ્દીનના વિરુદ્ધમાં ફરિયાદો કરી હતી. અઝહરુદ્દીન પર નિયમોના ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવાયો હતો. જેના બાદ તેઓને 15 જૂને સસ્પેન્શનની નોટીસ મોકલવામાં આવી હતી.
નોટીસ મુજબ, અઝહરુદ્દીને એક સપ્તાહ દરમ્યાન યોગ્ય પુરાવાઓ રજૂ કરવાના છે. જો તેમ કરવામાં તેઓ નિષ્ફળ રહેશે તો, તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અઝહરુદ્દીને હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના ખાતાઓ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ એ વાત પણ સામે આવી છે કે, અઝહરુદ્દીન દુબઇ સ્થિત પ્રાઇવેટ ક્રિકેટ ક્લબના પણ મેમ્બર છે. જે વાતને તેઓએ એસોસિયેશનથી છુપાવી હતી.
અઝહરુદ્દીનની ગણના ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં કરવામાં આવે છે. અઝહરુદ્દીન ભારત માટે 99 ટેસ્ટ મેચ અને 334 વન ડે મેચ રમ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેઓએ 45.03 ની સરેરાશ થી 62.15 રન બનાવ્યા હતા. જ્યારે વન ડે ક્રિકેટમાં 36.92 ની સરેરાશથી 9378 રન બનાવ્યા હતા. અઝહરુદ્દીને ભારતીય ટીમ વતી ત્રણ વિશ્વકપમાં કેપ્ટનશીપની ભૂમિકા નિભાવી હતી. તેમની કેપ્ટનશીપમાં ભારતે 14 ટેસ્ટ મેચ અને 90 વન ડે મેચમાં જીત હાંસલ કરી છે.