PCB : એશિયા કપ 2023ને લઈને BCCI સેક્રેટરી જય શાહના નિવેદનને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ગુસ્સે છે. જય શાહે સ્પષ્ટ કહ્યું હતું કે, ભારતીય ટીમ એશિયા કપ 2023 (Asia Cup 2023) માટે પાકિસ્તાન નહીં જાય. આ સાથે તેણે એશિયા કપનું આયોજન તટસ્થ સ્થળે કરવા પણ કહ્યું હતું. પીસીબી (PCB) ને આ વાત બિલકુલ પસંદ ન આવી અને તેણે પત્ર લખીને એશિયન ક્રિકેટ કાઉન્સિલને આ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યું છે.
પત્રમાં પીસીબીએ લખ્યું છે કે, “એસીસી પ્રમુખ જય શાહ દ્વારા આવતા વર્ષે તટસ્થ સ્થળ પર એશિયા કપ યોજવા અંગેના નિવેદનથી PCB ખૂબ જ આઘાત અને નિરાશ છે. આ નિવેદન એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે વાત કર્યા વિના આપવામાં આવ્યું હતું. તે પણ આવનારા સમયમાં તેની શું અસર થઈ શકે છે તેનો વિચાર કર્યા વગર.
ભારત આગામી વર્ષે આઈસીસી વર્લ્ડકપની મેજબાની કરનાર છે. પીસીબીએ ચોખ્ખી ધમકી આપી છે કે, એશિયા કપને લઈ જય શાહે જે નિવેદન આપ્યું છે તેની સીધી અસર ભારતની મેજબાનીમાં યોજાઈ રહેલા વર્લ્ડકપ પર રહેશે. પોતાના નિવેદનમાં પીસીબીએ આગળ લખ્યું કે, એસીસી મીટિંગ દરમિયાન સભ્યોની સહમતિ બાદ પાકિસ્તાનને એશિયા કપની યજમાની સોંપવામાં આવી હતી. જય શાહનું નિવેદન એસીસીના સૂત્રની વિરુદ્ધ છે જે કહે છે કે ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે તમામ બોર્ડે સાથે મળીને કામ કરવું જોઈએ. આ નિવેદનને કારણે એશિયન અને ઈન્ટરનેશનલ કમિટી અને આઈસીસી વચ્ચે તિરાડ પડશે. તેની સાથે ભારતમાં યોજાનારા ICC વર્લ્ડ કપ પર પણ તેની અસર પડશે જ્યાં પાકિસ્તાન ભાગ લેવાનું છે.
પીસીબીએ એસીસીને જય શાહના નિવેદનની સ્પષ્ટતા માંગી અને તાત્કાલિક બેઠક બોલાવવા કહ્યું છે, જેમાં આ મુદ્દા પર વાત કરવામાં આવે. પોતાના નિવેદનમાં તેમણે આગળ કહ્યું કે, પીસીબીને અત્યારસુધી અધિકારિક રીતે એસીસીના અધ્યક્ષના નિવેદન પર કોઈ સપષ્ટતા કરી નથી. પીસીબી એશિયન ક્રિકેટ કાઉન્સિલને અપીલ કરતા કહ્યું કે, તે આ મુદ્દા પર ટુંક સમયમાં જ ઈમરજન્સી મીટિંગ કરાવે. આ મુદ્દો ખુબ જ સંવેદનશીલ છે.
Published On - 4:46 pm, Wed, 19 October 22