સૌરવ ગાંગુલીની છીનવાશે ખુરશી, BCCIના અધ્યક્ષ બનશે જય શાહ ?
સૌરવ ગાંગુલી અને જય શાહે સાથે મળીને ઓક્ટોબર 2019માં ભારતીય ક્રિકેટ બોર્ડમાં અધ્યક્ષ અને સચિવનો હોદ્દો સંભાળ્યો હતો, ત્યારબાદ તેઓએ કોર્ટમાં અપીલ કરી હતી.
બુધવારે, 14 સપ્ટેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને મોટી રાહત આપી અને તેમની એક મોટી માંગ પૂરી કરતો ચુકાદો આપ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઇચ્છતું હતું કે 2019માં બનેલા BCCIના બંધારણમાં કાર્યકાળ અને કુલિંગ ઓફ પિરિયડમાં ફેરફાર કરવામાં આવે અને હવે આ ફેરફારને કોર્ટે મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને સેક્રેટરી જય શાહ (Jay Shah) સહિતના ટોચના અધિકારીઓ આગામી 3 વર્ષ સુધી યથાવત રહી શકે છે. સ્વાભાવિક રીતે આ ચૂકાદો સૌરવ ગાંગુલી અને જય શાહ માટે સારા સમાચાર છે, પરંતુ આવનારા દિવસોમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
2019 માં, ગાંગુલી, જે બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા અને જય શાહ, સચિવ બન્યા, તેમણે તેમનો કાર્યકાળ વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં બંધારણીય સુધારાની અપીલ કરી હતી. હવે આ માંગ પુરી થતા જ બોર્ડના અધ્યક્ષ ગાંગુલીના ભવિષ્યને લઈને સવાલો ઉભા થયા છે. એવા સંકેતો મળી રહ્યા છે કે આગામી ચૂંટણીમાં ગાંગુલીના સ્થાને જય શાહને બોર્ડના અધ્યક્ષ બનાવવા માટે સમર્થન વધી રહ્યું છે.
શાહની સાથે બધાં રાજ્યના બોર્ડ
અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસે એક અહેવાલમાં દાવો કર્યો છે કે આવતા મહિને યોજાનારી સંભવિત ચૂંટણીમાં જય શાહને બીસીસીઆઈ અધ્યક્ષ બનાવવા માટે અનેક રાજ્ય સંગઠનો સમર્થન આપવા તૈયાર છે. અહેવાલ મુજબ, 15 રાજ્ય એસોસિએશને બોર્ડના વડા તરીકે જય શાહને ટેકો જાહેર કર્યો છે. આવા એક રાજ્ય એસોસિએશનના અધિકારીએ જણાવ્યું હતું કે જય શાહ માટે બોર્ડ સંભાળવાનો આ યોગ્ય સમય છે અને તમામ રાજ્ય સંગઠનો તેમને ટેકો આપવા તૈયાર છે.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સ્ટેટ એસોસિએશનના અધિકારીઓનું માનવું છે કે કોરોના મહામારીના યુગમાં પણ જો BCCI માત્ર જય શાહના પ્રયાસોના કારણે સતત ત્રણ વખત IPLનું સફળતાપૂર્વક આયોજન કરી શક્યું. આ સિવાય રાજ્યના સંગઠનો પણ IPLના બ્લોકબસ્ટર બ્રોડકાસ્ટ ડીલની સફળતામાં જય શાહની મહત્વની ભૂમિકાને માને છે. સ્વાભાવિક છે કે, આવી સ્થિતિમાં શાહનું મજબૂત સમર્થન નવાઈની વાત નથી.
આગામી મહિને ચૂંટણી યોજાશે
હવે આ બધું શક્ય છે કે નહીં તે તો આવતા મહિને સંભવિત ચૂંટણી પરથી જ ખબર પડશે. ઓક્ટોબર 2019માં BCCIનો હવાલો સંભાળનાર ગાંગુલી, શાહ અને ખજાનચી અરુણ ધૂમલનો કાર્યકાળ આ મહિને પૂરો થાય છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવી શકે છે, જેના પછી આવતા મહિને ચૂંટણી યોજાઈ શકે છે. ઉપરાંત, રાજ્ય એસોસિએશનની ચૂંટણી પણ આ મહિનાના અંત સુધીમાં યોજવામાં આવી શકે છે, જેને BCCI દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી સ્ટે આપવા માટે કહેવામાં આવ્યું હતું.