IPL માં મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજી કેસ સામે આવ્યો, CBI એ 3 લોકોની ધરપકડ કરી
ટી20 લીગની શરૂઆત 26 માર્ચથી થઇ હતી. જેમાં આ લીગની શરૂઆત મુંબઈમાં થઈ હતી અને 29 મે સુધી ચાલશે. આ લીગની આ 15મી સીઝન છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ માં મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ 3 લોકોની ધરપકડ કરી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સીબીઆઈ અધિકારીઓને ટાંકીને કહ્યું કે ઈન્ડિયન ટી20 લીગમાં મેચ ફિક્સિંગ (Match Fixing) અને સટ્ટાબાજીમાં કથિત રીતે એક રેકેટ સામેલ છે. મળતી માહિતી મુજબ આ રેકેટ કથિત રીતે પાકિસ્તાનથી મળેલા ઈનપુટના આધારે આઈપીએલ (IPL) મેચોના પરિણામને પ્રભાવિત કરતું હતું. હાલમાં સીબીઆઈએ ધરપકડ કરાયેલા 3 આરોપીઓ સામે કેસ નોંધ્યો છે.
મળતી માહિતી પ્રમાણે આ મામલો વર્તમાન સીઝનનો નહીં પરંતુ 2019 સીઝનના 3 વર્ષ પહેલાનો જણાવવામાં આવી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ મામલામાં મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીને લઈને સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆર 2019 ની સીઝન સાથે સંબંધિત છે. જો કે ફિક્સિંગનો સ્કોપ કેટલો મોટો હતો અથવા તેમાં કોણ સામેલ હતું તે હાલ સ્પષ્ટ નથી. 2019 માં ટૂર્નામેન્ટ ભારતમાં જ યોજાઈ હતી અને ત્યાર બાદ મુંબઈ ઈન્ડિયન્સે ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
CBI books three persons for alleged match-fixing and betting in Indian Premier League T-20 cricket tournament: Officials
— Press Trust of India (@PTI_News) May 14, 2022
Match-fixing racket allegedly influenced outcome of IPL cricket matches based on inputs from Pakistan: Officials after CBI books 3 people
— Press Trust of India (@PTI_News) May 14, 2022
2013 માં સ્પોટ ફિક્સિંગનો મામલો સામે આવ્યો હતો
વિશ્વની સૌથી મોટી અને સૌથી પ્રખ્યાત T20 ક્રિકેટ લીગ હોવાને કારણે IPL હંમેશા બુકીઓ અને ફિક્સરોની નજર હેઠળ રહે છે. થોડા વર્ષો પહેલા પણ લીગમાં સટ્ટાબાજી અને ફિક્સિંગના મામલા સામે આવ્યો હતો. 2013 માં રાજસ્થાન રોયલ્સના ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંત, અશોક ચંદીલા અને અંકિત ચૌહાણ સ્પોટ ફિક્સિંગ કેસમાં પકડાયા હતા અને દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી હતી. ત્યાર બાદ BCCI દ્વારા ત્રણેય પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, લાંબી કોર્ટ કાર્યવાહી બાદ ત્રણેયને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
CSK અને RR પર લાગ્યો હતો 2 વર્ષનો પ્રતિબંધ
તે જ સમયે સટ્ટાબાજીના મામલા પણ સામે આવ્યા હતા. જેમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સના માલિકો લપેટમાં આવ્યા હતા. રાજસ્થાનના સહ-માલિક રાજ કુન્દ્રા અને CSK માલિક એન શ્રીનિવાસનના જમાઈ અને CSK ટીમના પ્રિન્સિપાલ ગુરુનાથ મયપ્પનની તેમની પોતાની ટીમો પર સટ્ટાબાજી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ બંને ટીમો પર 2 વર્ષ માટે ( વર્ષ 2016 અને 2017) પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ કેસ પછી જ સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈમાં સુધારા માટે પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આરએમ લોઢાના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી હતી.