IPL 2021: કોલકાતાના વિકેટકીપર દિનેશ કાર્તિકને આઇપીએલ દ્વારા અપાયો ઠપકો, મેચ બાદ આ મામલે ઠેરવ્યો દોષિત
કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) ક્વોલિફાયર -2 માં દિલ્હી કેપિટલ્સને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી જ્યાં શુક્રવારે તેમનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે.
IPL-2021 (IPL 2021) ને તેના બે ફાઇનલિસ્ટ મળ્યા છે. પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. દિલ્હી અહીં હારી ગયું અને બીજા ક્વોલિફાયરમાં પહોંચ્યું જ્યાં તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) નો સામનો કર્યો. અહીં પણ તેને હાર મળી અને ફરી એકવાર કોલકાતા નાઈટ રાઈડર્સે ફાઇનલમાં જગ્યા બનાવી. હવે શુક્રવારે બંને ટીમો ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે.
કોલકાતાએ રોમાંચક મેચમાં દિલ્હીને હરાવ્યું, પરંતુ આ મેચ બાદ તેને એક ખરાબ સમાચાર મળ્યા. ટીમના અનુભવી ખેલાડી અને પૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિક (Dinesh Karthik) ને સજા કરવામાં આવી છે. કાર્તિકને મેચ બાદ તેના વર્તન માટે આઈપીએલ દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે.
આઈપીએલે એક નિવેદન જારી કરીને કહ્યું છે, કે કાર્તિક લીગની આચારસંહિતાના ઉલ્લંઘન માટે દોષિત સાબિત થયો છે. આઈપીએલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોલકાતા નાઈટ રાઈડર્સના વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક ઇન્ડીયન પ્રીમિયર લીગના ક્વોલિફાયર 2 માં દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં લીગની આચારસંહિતાના ભંગ બદલ દોષિત સાબિત થયો છે. કાર્તિકે લેવલ 1 ની કલમ 2.2 નું ઉલ્લંઘન કર્યું છે. તેણે પોતાની ભૂલ સ્વીકારી છે અને સજા સ્વીકારી છે. લેવલ-1 ના નિયમોના ઉલ્લંઘનમાં ટીમના મેચ રેફરીનો નિર્ણય અંતિમ છે.
આવી રહી મેચ
દિલ્હી અને કોલકાતા વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક હતી. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરીને પાંચ વિકેટના નુકસાન પર 135 રન બનાવ્યા હતા. તે માટે ઓપનર શિખર ધવને 36 રનની ઇનિંગ રમી હતી. ધવને પોતાની ઇનિંગમાં એક ચોગ્ગો અને બે છગ્ગા ફટકાર્યા હતા. તેના પછી શ્રેયસ અય્યર ટીમનો બીજો સર્વોચ્ચ સ્કોરર હતો. અય્યરે 27 બોલમાં અણનમ 30 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં એક ચોગ્ગો અને એક છગ્ગો સામેલ હતો. અન્ય કોઈ બેટ્સમેન દિલ્હી માટે સારું યોગદાન આપી શક્યો નથી.
કોલકાતાએ શાનદાર શરૂઆત કરી. તેની શરૂઆતની જોડી શુભમન ગિલ અને વેંકટેશ અય્યરે પ્રથમ વિકેટ માટે 96 રન બનાવ્યા હતા. ગિલે 46 રન અને અય્યરે 55 રન બનાવ્યા હતા. અય્યરે 41 બોલનો સામનો કરીને ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ગિલે 46 બોલનો સામનો કર્યો હતો, તેણે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો.
આ બંનેના આઉટ થયા બાદ કોલકાતા પર હારનો ભય તોળાતો હતો. કાર્તિક ત્રણ બોલ રમ્યા બાદ પણ પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો, પરંતુ અંતે રાહુલ ત્રિપાઠીએ ટીમને રાહત અપાવી દીધી હતી. તેણે છેલ્લી ઓવરના પાંચમા બોલ પર સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. ત્રિપાઠીએ 11 બોલનો સામનો કરીને સિક્સર ફટકારી હતી અને તે વિનિંગ સિક્સર હતી.