INDvWI: બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાની Playing 11 બદલાશે, લોકેશ રાહુલ કોની જગ્યા લેશે?
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી વન-ડેમાં ભારતે 6 વિકેટે વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું. બીજી વન-ડે મેચમાં લોકેશ રાહુલનું પ્લેઇંગ 11માં રમવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.
વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) સામે પહેલી વન-ડેમાં ભારતીય ટીમ દરેક મોરચામાં સફળ સાબિત થઈ હતી. પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ (Team India) 6 વિકેટથી ઘણી સહેલાઈથી જીત મેળવી હતી. ટીમના દરેક ખેલાડીઓએ જીત માટે સારૂ યોગદાન આપ્યું હતું. જોકે પહેલી વન-ડેમાં જીત છતાં બીજી વન-ડે દરમ્યાન પ્લેઈંગ 11માં ફેરફાર થઇ શકે છે. વાત એવી છે કે પહેલી વન-ડેમાં લોકેશ રાહુલ રમ્યો ન હતો. હવે તે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો છે. ત્યારે તેનું બીજી વન-ડેમાં રમવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. લોકેશ રાહુલે (KL Rahul) બીજી વન-ડે માટે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. એવામાં પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે જો તેનો પ્લેઈંગ 11માં સમાવેશ થશે તો તે ક્યા ખેલાડીના સ્થાને રમશે અને તેનો બેટિંગ ઓર્ડર શું રહેશે.
લોકેશ રાહુલ આમ તો ઓપનર છે પણ વન-ડે ફોર્મેટમાં ટીમ તેને મિડલ ઓર્ડર પર રમાડવા માંગશે. તેના મિડલ ઓર્ડરમાં રમવાથી ટીમમાં સારૂ બેલેન્સ મળે છે. એવામાં અમદાવાદમાં રમાનાર બીજી વન-ડે મેચમાં તે ચોથા ક્રમે રમે તેવી શક્યતાઓ મળી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે લોકેશ રાહુલના આવવાથી વન-ડેમાં ડેબ્યુ કરનાર દીપક હુડ્ડાનું સ્થાન જોખમમાં મુકાઈ શકે છે.
દીપકને બેંચ પર બેસવાનો વારો આવી શકે છે. જોકે નામ તો ઈશાન કિશનનું પણ ચાલી રહ્યું છે પણ પ્રશ્ન માત્ર એટલો છે કે લોકેશ રાહુલ કઈ પોઝિશન પર રમશે. જો રાહુલને મિડલ ઓર્ડરમાં રમાડવામાં આવશે તો દીપક હુડ્ડા બહાર થઈ શકે છે અને જો ઓપનિંગમાં રમે તો ઈશાન કિશનનું સ્થાન જોખમમાં મુકાઈ શકે છે.
લોકેશ રાહુલના આવવાથી બેટિંગ ઓર્ડર બદલાશે?
લોકેશ રાહુલની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થશે તો ટીમમાં બેટિંગ ઓર્ડરમાં ફેરફાર થશે. જો રાહુલ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે તો ગત મેચમાં 4 નંબર પર બેટિંગ કરનાર સુર્યકુમાર યાદવ 5માં સ્થાને રમી શકે છે તો રાહુલ નંબર ચાર પર બેટિંગ કરતો જોવા મળશે. આમ જોવા જઈએ તો રાહુલ નંબર 4 અને 5માં સ્થાન બેટિંગ કરી ચુક્યો છે. નંબર 5 પર રાહુલ વધુ સફળ રહ્યો છે. તેણે 10 મેચમાં 56થી વધુ એવરેજથી 453 રન બનાવ્યા છે અને તેની સ્ટ્રાઈક રેટ 113થી વધુ છે. આ પોઝિશનમાં તેણે 4 અડધી સદી અને એક સદી ફટકારી છે.
ચોથા સ્થાન પર રાહુલે 5 મેચમાં 40ની ઓવરેજથી 160 રન બનાવ્યા છે, જેમાં તેણે એક સદી ફટકારી છે. હવે પ્રશ્ન એ છે કે ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ તેને ક્યા ક્રમે રમાડવા માંગે છે.
આ પણ વાંચો : INDvWI: સુર્યકુમારે જણાવ્યું પહેલી વન-ડેમાં પોલાર્ડ કઇ રીતે ઉશ્કેરતો હતો
આ પણ વાંચો : INDvWI: વિરાટ કોહલી જલ્દી તોડી શકે છે સચિનનો આ રેકોર્ડ, આ મામલામાં જયસુર્યા ટોચ પર