રોહિત શર્મા (Rohit Sharma) ની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) નો વિજય રથ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણી તેનું તાજેતરનું ઉદાહરણ છે, જેમાં ભારતીય ટીમે પહેલા જ 2-0 થી લીડ મેળવી લીધી છે અને હવે તેની નજર ક્લીન સ્વીપ પર છે. સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રવિવારે 10 જુલાઈના રોજ નોટિંગહામમાં રમાશે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે મેચનો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયામાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે, જે ચારેય ફેરફાર બોલીંગ વિભાગના સંદર્ભના પરિવર્તન છે.
શ્રેણીમાં બે મેચ જીતવાની સાથે જ પોતાનો દાવો પોકારી ચૂકેલી ભારતીય ટીમ પાસે આ મેચમાં પ્રયોગ કરવાની તકો છે અને તેણે તેનો ફાયદો ઉઠાવ્યો છે. ટીમે આ મેચમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલને આરામ આપ્યો છે. ચારેય ખેલાડીઓએ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બુમરાહે માત્ર એક જ મેચ રમી હતી, પરંતુ તેમાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું.
આ ચાર ફેરફારોને કારણે ટીમ ઈન્ડિયા આ મેચમાં બિનઅનુભવી બોલિંગ આક્રમણ સાથે ઉતરી રહી છે. ટીમમાં ઉમરાન મલિક, અવેશ ખાન અને રવિ બિશ્નોઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ, શ્રેયસ અય્યરને હાર્દિક પંડ્યાના સ્થાને લેવામાં આવ્યો છે, જે ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી પછી તેની પ્રથમ T20 મેચ રમશે. શ્રેયસ પાસે આ મેચ દ્વારા ટીમમાં પોતાનું સ્થાન મેળવવાની તક છે.
જ્યાં સુધી ઈંગ્લેન્ડનો સવાલ છે, શ્રેણીમાં પોતાની પ્રથમ જીતની રાહ જોઈ રહેલી યજમાન ટીમે પણ બે ફેરફાર કર્યા છે. છેલ્લી મેચમાં બહાર બેઠેલા રીસ ટોપલીની ટીમમાં વાપસી થઈ છે. તેને સેમ કરનની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે. તે જ સમયે, લેગ સ્પિનર મેથ્યૂ પાર્કિન્સનના સ્થાને વિસ્ફોટક બેટ્સમેન ફિલ સોલ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, અવેશ ખાન, ઉમરાન મલિક અને રવિ બિશ્નોઈ.
ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન-વિકટકીપર), જેસન રોય, ડેવિડ મલાન, ફિલ સોલ્ટ, લિયામ લિવિંગ્સ્ટન, મોઈન અલી, હેરી બ્રુક, ક્રિસ જોર્ડન, ડેવિડ વિલી, રીસ ટોપલી, ટિમલ મિલ્સ
Published On - 6:39 pm, Sun, 10 July 22