IND vs ENG: માંજરેકરે લોર્ડઝ ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવન પસંદ કરી રવિન્દ્ર જાડેજાને બહાર રાખતા ચર્ચા ગરમ બની
India vs England: માંજરેકર અગાઉ પણ રવિન્દ્ર જાડેજા માટે નિવેદનો કર્યા છે અને વિવાદ સર્જાઈ ચુક્યો છે. ફરી એકવાર બંને વચ્ચેનો માહોલ ગરમ રાખવા રુપ માંજરેકરે પોતાની પસંદ કરાયેલી ઈલેવનમાં જાડેજાને બહાર રાખ્યો છે.
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની બીજી ટેસ્ટ લોર્ડઝ (Lord’s Test)માં રમાનારી છે. આ માટે પ્લેઈંગ ઈલેવન માટે અત્યારથી જ ચર્ચાઓ શરુ થઈ ચુકી છે. આ દરમ્યાન પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકરે (Sanjay Manjrekar) પોતાની પ્લેઈંગ ઈલેવન પસંદ કરી છે. જેમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ને બહાર રાખતા જ ચર્ચા ગરમ બની ગઈ છે. માંજરેકર અને જાડેજા વચ્ચે વિવાદ પહેલાથી જ જગજાહેર છે.
પ્રથમ ટેસ્ટ મેચ વરસાદને નામ થઈ ચુકી હતી. વરસાદને લઈને મેચ ડ્રોના પરીણામ પર સમેટાઈ ગઈ હતી. હવે લોર્ડઝ ટેસ્ટ પર સૌની નજર ઠરી છે. બીજી ટેસ્ટ મેચ પહેલા દિગ્ગજ અને ક્રિકેટ એક્સપર્ટ પોતાની ટીમ પસંદ કરીને ટીમના અંદાજ લગાવતા હોય છે. આવી જ રીતે માંજરેકરે ટીમ પસંદ કરી છે.
નોટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ જીતની નજીક હતી. પરંતુ પાંચમા દિવસની રમત વરસાદને લઈને ધોવાઈ ગઈ હતી. ભારતીય ટીમે ચોથા દિવસની રમતના અંત સુધી એક વિકેટે 52 રનની રમત રમી હતી. ચેતેશ્વર પુજારા અને રોહિત શર્મા 12-12 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. પાંચમાં દિવસે ભારતને જીત માટે 157 રનની જરુર હતી. સાથે જ 9 વિકેટ હાથ પર હતી. પરંતુ વરસાદને લઈને નિર્ણાયક દિવસની રમત રમી શકાઈ જ નહોતી.
શાર્દૂલ ઠાકુરના સ્થાને હનુમા વિહારી ઈચ્છે છે માંજરેકર
હવે બીજી ટેસ્ટ મેચ પહેલા પૂર્વ કોમેન્ટેટર અને ક્રિકેટર માંજરેકરે પોતાની પ્લેઈંગ ઈલેવન પસંદ કરી છે. પોતાની આ પ્લેઈંગ ઈલેવનમાં તેણે શાર્દૂલ ઠાકુરને ટીમમાં સ્થાન નથી આપ્યુ. માંજરેકર ઈચ્છે છે કે શાર્દૂલ ઠાકુરના સ્થાને કોઈ નિષ્ણાંત બેટ્સમેનને સામેલ કરવામાં આવે. તે ઈંગ્લેન્ડમાં સીમની અનુકૂળ પરિસ્થિતીઓને કારણે હનુમા વિહારીને પ્લેઈંગ ઈલેવનમાં જોવા ઈચ્છે છે. હનુમા વિહારીએ અંતિમ વાર જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટ રમી હતી. તે વખતે તેણે અંતિમ દિવસે ભારતને મેચ બચાવવા યોગદાન આપ્યું હતુ.
રવિન્દ્ર જાડેજાને નથી કર્યા ટીમમાં સામેલ
આ ઉપરાંત માંજરેકરે રવિન્દ્ર જાડેજાને પોતાની ટીમની બહાર રાખ્યો છે. જે ફરી એકવાર સોશયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની ગયુ છે. સંજય માંજરેકર અને રવિન્દ્ર જાડેજાના વચ્ચે પહેલાથી સોશિયલ મીડિયા પર ઘર્ષણ થઈ ચુક્યુ હતુ. માંજરેકરે અંતિમ વિશ્વકપ દરમ્યાન જાડેજાને લઈને ખૂબ વિવાદીત વાત કહી હતી. જેના બાદ જાડેજાએ પણ તેને જવાબ વાળ્યો હતો. એટલું જ નહીં તે નિવેદન બાદ 2019 વિશ્વકપ સેમિફાઈનલમાં જાડેજાએ પોતાના બેટથી જોરદાર પ્રદર્શન કર્યુ હતુ. માંજરેકર પોતાની કોમેન્ટ્રી દરમ્યાન પણ જાડેજા પર નિવેદન આપતા રહે છે.
સંજય માંજરેકરની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, મહંમદ શામી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.