GT vs SRH, IPL 2023: અમદાવાદમાં 5 ખેલાડીઓના ખાતા ‘શૂન્ય’ રહ્યા, ગિલ અને સુદર્શન સિવાય સૌ ‘ઝીરો’ !
Gujarat Titans vs Sunrisers Hyderabad, IPL 2023: સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સ ટીમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. જેમાં પાંચ ખેલાડીઓ પોતાનુ ખાતુ ખોલાવી શક્યા નહોતા.

IPL 2023 ની પ્લેઓફમાં પ્રથમ ટીમ તરીકે ગુજરાત ટાઈટન્સ સ્થાન મેળવે એવી સંભાવના પોઈન્ટ્સ ટેબલને જોઈને લાગી રહી છે. સોમવારે અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર થઈ છે. આ મેચમાં હૈદરાબાદના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ગુજરાતની ટીમને ઘર આંગણે પ્રથમ બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. હૈદરાબાદના બોલર્સે ગુજરાતના બેટર્સને પરેશાન કરી દીધા હતા. હૈદરાબાદ સામે પાંચ એવા બેટર નોંધાયા હતા કે, જે બેટિંગ કરવા મેદાને તો ઉતર્યા હતા, પરંતુ ખાતુ ખોલાવી શક્યા નહોતા. જોકે ગિલની સદીના દમ પર ગુજરાતે પડકારજનક સ્કોર ખડક્યો હતો.
ગુજરાત ટાઈટન્સ ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે સોમવારની મેચ પહેલા એક જ ડગલુ દૂર હોવાની સ્થિતી હતી. સિઝન જેમ જેમ તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી હતી. એમ માનવામાં આવી રહ્યુ હતુ કે, ગુજરાતની ટીમ આઈપીએલની સિઝનના પ્લેઓફમાં પ્રથમ પહોંચનારી ટીમ હશે. આવો જ દેખાવ ગુજરાતની ટીમ શરુઆતથી જ દર્શાવી રહી છે, જેવો પ્લેઓફમાં સડસડાટ સ્થાન મેળવી શકવા માટે જરુરી હોય.
GT એ પ્રથમ વિકેટ શૂન્ય પર ગુમાવી
શરુઆત જ ગુજરાતની ટીમની શૂન્યથી થઈ હતી. પ્રથમ ઓવરમાં ટીમનુ ખાતુ પણ ખુલ્યુ નહોતુ અને ઓપનર રિદ્ધીમાન સાહાએ વિકેટ ગુમાવી દીધી હતી. તે પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર ભૂવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો. આ સિવાય અગાઉની મેચમાં 10 છગ્ગા વડે ધમાલ મચાવનારો રાશિદ ખાન પણ ગોલ્ડન ડક શિકાર થયો હતો. તે ભૂવનેશ્વરના બોલ પર ક્લાસેનના હાથમાં કેચ આપી બેઠો હતો. નૂર અહેમદ પણ ત્યાર શૂન્ય રને આઉટ થયો હતો. તે ક્લાસેન અને ભૂવનેશ્વરની ચપળતા વડે રન આઉટ થઈ પરત ફર્યો હતો. જ્યારે મોહમ્મદ શામી ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો.
અંતમાં મોહિત શર્મા બેટિંગ માટે આવ્યો હતો. તે વખતે દાસુન શનાકા રમતમાં ક્રિઝ પર મોજૂદ હતો. મોહિત માત્ર એક જ બોલ રમી શક્યો હતો, પરંતુ તે રન લઈ શકવામાં સફળ રહ્યો નહોતો. આમ તે અણનમ રહ્યો હતો, પરંતુ પોતાનુ ખોલી શક્યો નહોતો. આમ પાંચમો ખેલાડી હતો કે, જે શૂન્ય પર જ પેવેલિયન પરત ફર્યો હતો. ગુજરાતે નિર્ધારીત ઓવર્સમાં 188 રનનો સ્કોર 9 વિકેટ ગુમાવીને નોંધાવ્યો હતો.