ENG vs IND: પહેલી વન-ડેમાં શરમજનક હાર બાદ સુકાની જોસ બટલર પર ઇયોન મોર્ગનનું મોટુ નિવેદન
Cricket : પ્રથમ વનડે મેચમાં ઈંગ્લેન્ડની હાર બાદ ઈયોન મોર્ગને મોટું નિવેદન આપ્યું. તો સાથે જ તેણે જોસ બટલરની કેપ્ટનશીપ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ભારત સામેની પ્રથમ વનડેમાં યજમાન ઈંગ્લેન્ડ (ENG vs IND) ને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 110 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે કોઈપણ વિકેટ ગુમાવ્યા વગર 114 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ અણનમ 77 રનની ઇનિંગ રમી હતી. તો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) એ 19 રન આપીને 6 ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે મોહમ્મદ શમી (Mohammad Shami) એ 3 ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા હતા. હવે આ હાર બાદ ઈંગ્લેન્ડના પૂર્વ સુકાની ઈયોન મોર્ગને (Eoin Morgan) વર્તમાન સુકાની જોસ બટલર (Jos Buttler) નો બચાવ કર્યો છે.
પોતાની ભુલથી શીખશે
વાસ્તવમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગને કહ્યું કે આ હાર બાદ જોસ બટલર પોતાની ભૂલોમાંથી શીખશે અને જલ્દી જ જોરદાર વાપસી કરશે. તેણે કહ્યું કે મને ખબર છે કે જ્યારે મને આવી હાર મળે છે ત્યારે કેવા પ્રકારની લાગણીઓ થાય છે. જોકે હું માનું છું કે જોસ બટલર આ હારને તક તરીકે જોશે. જોસ બટલર માટે નેતૃત્વ કરવાનો આ યોગ્ય સમય છે. તો તેણે કહ્યું કે હું જાણું છું કે જ્યારે આવી હાર મળે છે ત્યારે ડ્રેસિંગ રૂમમાં બધા તમારી વાત ખૂબ ધ્યાનથી સાંભળે છે.
પહેલી વન-ડેમાં ઇંગ્લેન્ડની શરમજનક હાર
મહત્વનું છે કે પ્રથમ વનડે મેચ માં યજમાન ઈંગ્લેન્ડ (England Cricket Team) ને 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની આખી ટીમ 25.2 ઓવરમાં માત્ર 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમ (Team India) એ 18.4 ઓવરમાં 10 વિકેટે મેચ જીતી લીધી હતી. આ પહેલા ઈંગ્લેન્ડના 4 બેટ્સમેન જેસન રોય (Jason Roy), જો રૂટ (Joe Root), બેન સ્ટોક્સ (Ben Stokes) અને લિયામ લિવિંગસ્ટોન (Liam Livingstone) કોઈ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) 6 અને મોહમ્મદ શમી એ 3 વિકેટ ઝડપી હતી અને ભારતની જીત માટે મહત્વની ભુમિકા ભજવી હતી.