
IPL 2026 સિઝન 28 માર્ચથી શરૂ થવાની છે, અને ફરી એકવાર 31 મેના રોજ ટ્રોફી કોણ ઉપાડશે તેના માટે દસ કેપ્ટન સ્પર્ધા કરશે. તેમાં IPLનો સૌથી સફળ કેપ્ટન પણ સામેલ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના આ બે દિગ્ગજ કેપ્ટનો ધોની અને રોહિતે સૌથી વધુ, પાંચ-પાંચ વખત ટ્રોફી જીતી છે, પરંતુ જ્યારે જીતની ટકાવારીની વાત આવે છે, ત્યારે આ બંને એક કેપ્ટનથી પાછળ રહી જાય છે.
જીતની ટકાવારી મામલે ધોની અને રોહિતથી આગળ છે પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર. કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે IPL ટાઈટલ જીતનાર અય્યરે ત્રણ ટીમોનું નેતૃત્વ કર્યું છે અને ત્રણેયને ફાઈનલમાં પહોંચાડી છે. તેણે ત્રણેય ટીમ સાથે મેદાન પર ઘણી મેચો જીતી છે, જેના કારણે તેની જીતની ટકાવારી ધોની અને રોહિત જેવા અનુભવી ખેલાડીઓ કરતા પણ વધુ છે.
આંકડા દર્શાવે છે કે IPLમાં ઓછામાં ઓછી 50 મેચોમાં કેપ્ટનશીપ કરનારાઓમાં શ્રેયસ અય્યરે 58.82 ટકા જીત મેળવી છે. અય્યરે અત્યાર સુધીમાં 87 મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી 50 મેચમાં જીત મેળવી છે. ટીમ 35 મેચ હારી છે અને બે મેચ ડ્રો રહી છે.
સચિન તેંડુલકર આ યાદીમાં બીજા ક્રમે છે, અય્યરની જેમ સચિનની પણ જીતની ટકાવારી 58.82 છે, પરંતુ તેણે ફક્ત 51 મેચમાં કેપ્ટનશીપ કરી છે. ધોની 58.36 ટકા સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે, રોહિત 56.32 ટકા સાથે પાંચમા ક્રમે અને શેન વોર્ન 56.36 ટકા સાથે ચોથા ક્રમે છે.
હવે, આ સિઝનમાં અય્યર ટાઈટલ જીતવાનું લક્ષ્ય રાખશે. ટીમનો પહેલો મુકાબલો 31 માર્ચે ગુજરાત ટાઈટન્સ સામે છે. ગયા સિઝનમાં, પહેલીવાર પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરતા અય્યરે ટીમને ફાઈનલમાં પહોંચાડી હતી પરંતુ ટાઈટલથી ચૂકી ગયો હતો.
આ સતત ત્રીજી ટીમ હતી જેને તેણે ફાઈનલમાં પહોંચાડી હતી. અગાઉ, તેણે દિલ્હી કેપિટલ્સને IPL 2020માં પહોંચાડ્યું હતું. ત્યારબાદ IPL 2024 માં કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવ્યું હતું અને IPL 2025 માં પંજાબને ફાઈનલમાં પહોંચાડ્યું હતું. આ વખતે, તે પંજાબના ટાઈટલના દુષ્કાળને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે.
Published On - 8:59 pm, Wed, 18 March 26