AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બદનસીબ મુખ્યમંત્રીઓ: મણિપુરના સિંહ એકલા નથી, બીજા ઘણા છે…

આવા પ્રશ્નોની તવારીખ લાંબી છે. શિવસેનાને ઉદ્ધવ ઠાકરે જાળવી શક્યા નહીં, ને મુખ્યમંત્રીનું પદ ગયું. શરદ પવાર અજિત પવારને અંકુશમાં રાખવા ગયાને મોટાભાગના સાથીદારોને ખોઈ બેઠા.

બદનસીબ મુખ્યમંત્રીઓ: મણિપુરના સિંહ એકલા નથી, બીજા ઘણા છે...
| Updated on: Jul 24, 2023 | 5:14 PM
Share

મણિપુરની (Manipur) હિંસાના મૂળ કારણો છે, અફીણની ખેતી, તેના સ્થાપિત હિતો, મૂળ નિવાસી મઈતેયીને અનામતનો લાભ મળે તેવા નિર્ણયનો વિરોધ, કુકી જનજાતિનો સંઘર્ષ, આંતરરાષ્ટ્રીય સ્તરના ઈસાઈ પરિબળો, જે અહીં વટાળ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને વર્તમાન નિર્બળ મુખ્યમંત્રી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાક શબ્દોમાં આ ઘટનાને સમગ્ર દેશને માટે શરમ ગણાવી તે પછી એવું માનવામાં આવે છે કે મણિપુરમાં વર્તમાન મુખ્યમંત્રીને હટાવવામાં આવશે અથવા રાષ્ટ્રપતિ શાસન જાહેર કરવામાં આવશે. રાજ્યપાલે પણ કાયદો વ્યવસ્થા કથળી ગયાનો આઘાત વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: લોકસભાના સત્ર સુધીમાં જોવા મળે છે રાજકીય ઉત્પાતની આંધી…

કેટલાક મુખ્યમંત્રી શનિના ગ્રહથી પ્રભાવિત હોય તેમ બહુ ટકી શકતા નથી. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રનું તાજું ઉદાહરણ છે. મણિપુરમાં આંતરિક ખેંચતાણ ઓછી છે પણ ફૂટબોલના ખેલાડી મુખ્યમંત્રી તદ્દન નિર્બળ અને નિષ્ફળ પુરવાર થઈ ચૂક્યા છે. જે જનજાતિને લીધે જીત્યા તે પણ નિર્વાસિત છાવણીઓમાં જીવે છે અને મિઝોરમ તરફ હિજરત કરવા માંડી છે. મણિપુરને બચાવવું હોય તો આ નેતાનું સત્તા પદ લઈ લેવું પડે. ભાજપની એ મુશ્કેલી હોઈ શકે કે બીજો પ્રભાવી નેતા ના મળતો હોય. આ મુખ્યમંત્રી પણ મૂળ કોંગ્રેસી છે, ભાજપ તો તેનો ત્રીજો પક્ષ છે. ચોથામાં જવું હોય તો જવા દેવા જોઈએ, પૂર્વોત્તર ભારતમાં રાષ્ટ્રવાદી ભાજપની ઐતિહાસિક જરૂર છે.

અલગાવને સમાપ્ત કરવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ ત્યારે પ્રાદેશિક પક્ષો અને તેના જુદા પડેલા સંગઠનો, માઓથી મ્યામાર સુધીના તત્વો શક્તિશાળી પરિબળોએ માથું ઊંચક્યું. ઉલ્ફા તેવું સંગઠન છે. આવા ઉગ્રવાદી સંગઠનો અને પક્ષોની સંખ્યા 40 જેટલી થવા જાય છે. અગાઉ અહીં જનસંઘ કે ભાજપ તો તદ્દન નગણ્ય હતા, આજે શક્તિશાળી બન્યા અને સરકારો રચી તે વર્તમાન ભારતની મોટી ઘટના છે.

પૂર્વોત્તરમાં ભાજપ એ પ્રદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એક વર્ગને આંખના કણાની જેમ ખૂંચે છે. મણિપુરની ઘટનાઓએ તેને મોકો આપ્યો છે. છેક એપ્રિલથી લગાતાર હિંસક ઘટનાઓ થતી રહી છે, તે કોઈ એક જનજાતિ પૂરતી મર્યાદિત નથી રહી. સરકાર તેને કાબુમાં લેવામાં નિષ્ફળ નીવડી એટ્લે ભાજપ પર નિશાન તાકવાનું શરૂ થયું.

નિષ્ફળ કે ભ્રષ્ટાચારી નેતા હોય ત્યાં કોઈ પણ પક્ષને નુકશાન પહોંચે તે વણલખ્યો નિયમ છે. ગૃહમંત્રી અમિત શાહે એવી આશાએ ત્યાંના મુખ્યમંત્રીને જાળવ્યા કે કશુક મક્કમ કામ કરશે. પણ તેવું થયું નથી, મૂળ સમસ્યા પર જેવો-જેટલો વિચાર થવો જોઈએ તેવો થયો નથી તેના ખરાબ પરિણામો હાજર છે. આનું ઓપરેશન જેટલું જલ્દી થાય એટલું નુકશાન ઓછું થશે.

આવા પ્રશ્નોની તવારીખ લાંબી છે. શિવસેનાને ઉદ્ધવ ઠાકરે જાળવી શક્યા નહીં, ને મુખ્યમંત્રીનું પદ ગયું. શરદ પવાર અજિત પવારને અંકુશમાં રાખવા ગયાને મોટાભાગના સાથીદારોને ખોઈ બેઠા. આપણે ત્યાં ઘનશ્યામ ઓઝાને મુખ્યમંત્રી બનાવ્યા હતા પણ ના ચાલ્યા. જીવરાજ શક્તિશાળી હતા પણ સંગઠન તેમની સાથે ના રહ્યુંને રાજીનામું આપવું પડ્યું. ચીમનભાઈ પટેલ પક્ષની અંદર નેતા પદની ચૂંટણી પક્ષમાં જ લડ્યા, ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા, નવ નિર્માણ આંદોલન ચાલ્યુંને ચીમનભાઈ મુખ્યમંત્રી તો ના રહી શક્યાં પક્ષમાંથી જ હાંકી કાઢવામાં આવ્યા હતા.

આવું જ નસીબ માધવ સિંહ સોલંકીનું હતું. કેટલી મોટી બહુમતિથી તેમણે સરકાર બનાવી (જો કે તેની પાછળ ખામ નામે જાતિવાદી યુક્તિ હતી અને તેની સામે રતુભાઈ અદાણી તેમ જ બીજા વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું)ને અનામત રમખાણો શરૂ થઈ ગયા. છેવટે સોલંકીને પણ રાજીનામું આપી દેવું પડ્યું. ભાજપમાં કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા પણ અલગ અલગ કારણોથી મુખ્યમંત્રી રહી શક્યા નહિ.

બીજા રાજ્યોમાં પણ આવું બનતું રહ્યું છે. નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ગોધરા-ઘટના અને પછીના હત્યાકાંડ પછી તેઓ મુખ્યમંત્રી નહીં જ રહી શકે એવું ચર્ચાતું હતું, પણ તેઓ 2014 સુધી ટકી રહ્યા અને દેશના વડાપ્રધાન બનીને ભાજપને સત્તાના શિખર પર આરોહીત કરી દીધો. આ દરમિયાન ગુજરાતમાં પહેલા આનંદી બહેન અને પછી વિજય રૂપાણી પણ પૂરો સમય પદ પર રહી શક્યા નહોતા. યાદ છે અર્જુન સિંહ? રાહુલ ગાંધીએ રાતોરાત તેમને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદેથી હટાવીને રાજયપાલ બનાવી દીધા હતા. મહારાષ્ટ્રમાં વસંતદાદા પાટિલ રાજ્યપાલ હતા અને મુખ્યમંત્રી બનવા માટે રાજીનામું આપી દીધું અને ચૂંટણી લડીને મુખ્યમંત્રી બન્યા હતા!

મણિપુરનો મામલો જુદો છે. બાકી ભારત કરતાં ત્યાંનું સમાજજીવન અને તેમાંથી પેદા થતી રાજનીતિનો સીધો સંબંધ આદિવાસી પ્રજા, તેનું મોટાપાયે વર્ષોથી થયેલ ધર્માંન્તર અને પાડોશી દેશોની સીધી આડકતરી દરમિયાંગીરી, એકઠી બીજી જાતિનો સંઘર્ષ અને નશીલા પદાર્થોની, ખેતી આટલા કારણો વર્ષોથી પડ્યા છે. આની સીધી અસર સમાજ અને રાજકારણ પર છે. હવે તેમાં ઠીક્ઠીક સુધારો થયો છે પણ તે પાશેરામાં પહેલી પૂણી છે. રાષ્ટ્રવાદ સાથેનું રાજકારણ ત્યાં સૌથી વધારે જરૂરી છે એટ્લે ભાજપે નિર્ણાયક થવું પડશે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

g clip-path="url(#clip0_868_265)">