Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ, આંતરિક શિસ્ત કે રાજકીય સમાધાન? જુઓ Video
રાજકોટ ભાજપમાં ટર્મ પૂરી થાય તે પહેલાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડિયાએ કોર્પોરેટર નેહલ શુક્લની સતત ત્રણ બોર્ડમાં ગેરહાજરી અંગે કમિશનરને પત્ર લખી ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈએ જણાવ્યું કે નેહલ શુક્લ રજા પર હતા અને આ કાયદાકીય મુદ્દો છે, જેમાં પાર્ટી નેહલ શુક્લની સાથે છે.
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ટર્મ પૂરી થવા આરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. આ વિવાદ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લની બોર્ડ મીટિંગ્સમાં ગેરહાજરીને લઈને ઊભો થયો છે. રાજકોટ ભાજપના ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડિયાએ મહાનગરપાલિકા કમિશનરને એક પત્ર લખીને કોર્પોરેટર નેહલ શુક્લને ગેરલાયક ઠેરવવાની માંગણી કરી છે. પત્રમાં જણાવાયું છે કે નેહલ શુક્લ સતત ત્રણ બોર્ડ મીટિંગમાં ગેરહાજર રહ્યા છે, તેથી તેમને બોર્ડમાં બેસવા દેવા કે નહીં તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે.
આ ઘટનાક્રમ બાદ રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈએ જણાવ્યું હતું કે કોર્પોરેટર નેહલ શુક્લ રજા લઈને ગેરહાજર રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે બોર્ડમાં ગેરહાજરીનો પ્રશ્ન કાયદાકીય છે, પરંતુ RMCની ટીમ અને તમામ કોર્પોરેટરો નેહલ શુક્લની સાથે છે. આ મામલે રાજકોટના શહેર અધ્યક્ષ શ્રી માધવભાઈ, મેયર શ્રી નયનાબેન, મનીષભાઈ રાડિયા, લીલુબેન જાદવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ સહિતના પદાધિકારીઓની મેયર ચેમ્બરમાં બેઠક યોજાઈ હતી, જેમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.
જયમીનભાઈએ કાયદાકીય પાસાં પર ભાર મૂકતા જણાવ્યું કે બીપીએમસી (BPMC) અને જીપીએમસી (GPMC) એક્ટ મુજબ, જો કોઈ કોર્પોરેટર સતત ત્રણ બોર્ડ મીટિંગમાં ગેરહાજર રહે તો તેમની સામે કાર્યવાહી કરવાની ફરજ પડે છે. સેક્રેટરી દ્વારા આ કાયદાકીય અને ટેકનિકલ મુદ્દા પર જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આમાં કોઈ રાજકીય દ્વેષ નથી. નેહલ શુક્લ પોતે પણ કાયદાના જાણકાર હોવાનું અને લોકોના હિત માટે પ્રશ્નો ઉઠાવતા હોવાનું જણાવ્યું હતું. તેમણે ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી હંમેશા લોકો માટેની રહી હોવાનું જણાવી આ આખા મામલાને માત્ર કાયદાકીય પ્રક્રિયાનો ભાગ ગણાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો અને સંગઠન નેહલ શુક્લની સાથે હોવાનું આ મુદ્દે તેમનું સંગઠનાત્મક સમર્થન દર્શાવે છે.
Input Credit : Mohit Bhatt
હાઈકોર્ટનો ઝટકો! આસારામ પાસેથી મોટેરા આશ્રમ છીનવાયો, 45,000 ચોરસ મીટર જમીન પર સરકારનો કબ્જો આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

