રાજ્ય સરકારનો નિર્ણય, નવા મદરેસાઓની ગ્રાન્ટ પર પ્રતિબંધ, જાણો સમગ્ર અહેવાલ
યોગી સરકારનો નવા મદરેસાઓને ગ્રાન્ટ નહિ આપવાના નિર્ણય પર વિપક્ષ નેતાઓએ કહ્યું કે ભાજપ વાસ્તવિક મુદ્દાઓ પરથી જનતાનું ધ્યાન હટાવવા માંગે છે અને શિક્ષણમાં પણ નફરતની રાજનીતિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઉત્તર પ્રદેશની(Uttar Pradesh) યોગી સરકારે(Yogi Government) નિર્ણય લીધો છે કે હવે નવા મદરેસાઓને કોઈ ગ્રાન્ટ આપવામાં નહીં આવે. યોગી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં રાજ્યમાં 558 મદરેસાઓને(Madrasas )સરકારી ગ્રાન્ટ આપવામાં આવી રહી છે.સમાજવાદી પાર્ટીના પ્રવક્તા અનુરાગ ભદૌરિયાએ યોગી સરકારના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. તેમનો પ્રશ્ન છે કે જો મદરેસા તમામ માપદંડો પૂરા કરે છે તો ગ્રાન્ટ આપવામાં શું વાંધો છે?
તેમણે કહ્યું, “ભારતીય જનતા પાર્ટી વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવી રહી છે. હવે શિક્ષણમાં પણ નફરતનું રાજકારણ ચલાવાઇ રહ્યુ છે. જો મદરેસા ધોરણને પૂર્ણ કરે તો અનુદાન આપવામાં શું વાંધો છે? જો તમારે મદરેસામાંથી પણ ડૉક્ટર-એન્જિનિયર જોઇતા હોય તો તમે આવો ભેદભાવ કરો એ કેટલો યોગ્ય ? સરકારની જવાબદારી બને છે કે જો મદરેસા ધારાધોરણ પૂર્ણ કરે તો તમારે મદદ કરવી જોઈએ કારણ કે ભારતના બાળકો પણ ત્યાં ભણે છે.
શિક્ષણમાં પણ નફરતનું રાજકારણઃ અનુરાગ ભદૌરિયા
સપા નેતાએ કહ્યું કે સરકાર આવું એટલા માટે કરી રહી છે કારણ કે તે નફરતની રાજનીતિને પ્રોત્સાહન આપવા માંગે છે અને શિક્ષણમાં પણ નફરતની વાત કરવા માંગે છે, તે ભારત માટે ચિંતાનો વિષય છે. સરકાર શિક્ષણની સાથે ધર્મ અને જાતિનું રાજકારણ કરે છે. દેશમાં ઘણા મુદ્દાઓ છે, તેઓ તેમની ચર્ચા કરતા નથી અને જ્ઞાનવાપી, તાજમહેલ, કુતુબમિનારના મુદ્દાઓ લાવે છે.
તે જ સમયે, મદરેસા મેનેજર અબ્દુલ્લાએ કહ્યું કે મદરેસામાં માત્ર કુરાન જ નહીં, હદીસ અને ઉર્દૂ પણ શીખવવામાં આવે છે. ત્યાં તમામ શિક્ષણ હિન્દી, અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. જો સરકાર આવું કરી રહી છે તો વડાપ્રધાનને પૂછવું જોઈએ કે એક હાથમાં કોમ્પ્યુટર અને એક હાથમાં કુરાન શા માટે કહ્યું? શિક્ષણમાં રાજકારણથી વિદ્યાર્થીના જીવન પર ઉંડી અસર પડશે.
46 મદરેસાઓને ગ્રાન્ટની યાદીમાં લેવામાં આવે તે પહેલા જ સરકારમાં ઘમાસાણ સર્જાયું
સપા સરકારના કાર્યકાળ દરમિયાન 2003 સુધી માન્યતા પ્રાપ્ત 146 મદરેસાઓને ગ્રાન્ટ લિસ્ટમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ 100 મદરેસાઓને પણ ગ્રાન્ટ લિસ્ટમાં લેવામાં આવી હતી.બાકી વધેલા 46 મદરેસાઓને ગ્રાન્ટની યાદીમાં લેવામાં આવે તે પહેલા જ સરકારમાં ઘમાસાણ સર્જાયું હતું, ત્યારબાદ આ 46 મદરેસાઓ ગ્રાન્ટ પર લઈ શકાઈ ન હતી.
જે કારણે આમાંથી કેટલીક મદરેસાઓએ કોર્ટનો આશરો લીધો હતો. હાલમાં રાજ્યમાં કુલ 560 મદરેસાઓને સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી રહી છે. ગ્રાન્ટ હેઠળ આ મદરેસાના શિક્ષકો અને કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે છે.