Yasin Malik News: NIA કોર્ટે યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં દોષિત ઠેરવ્યો, સજા પર સુનાવણી 25 મેના રોજ થશે
આ પહેલા યાસીન મલિકે (Yasin Malik) તેની સામેના કેસોમાં એટલે કે ગુનો સ્વીકારીને 'પ્લીડ ગીલ્ટી' કરી હતી. કોર્ટે યાસીનની દલીલ સ્વીકારી અને તેને દોષિત ઠેરવ્યો.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સ્પેશિયલ NIA કોર્ટે ગુરુવારે કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકને (Yasin Malik) તેની સામેના આતંકવાદી કેસમાં UAPA સહિતના તમામ આરોપોમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે NIAને યાસીન મલિકની આર્થિક સ્થિતિ જાણવા માટે યાસીનની સંપત્તિઓનું વિશ્લેષણ કરવા કહ્યું છે, સાથે જ NIA કોર્ટે યાસીન મલિકને પણ તેની સંપત્તિ વિશે એફિડેવિટ આપવા જણાવ્યું છે. કોર્ટ કેસમાં આગામી સુનાવણી 25 મેના રોજ થશે, તે દિવસે કોર્ટ યાસીનની સજાની માત્રા પર ચર્ચા સાંભળશે. તમને જણાવી દઈએ કે આ પહેલા યાસીન મલિકે તેની સામેના કેસોમાં એટલે કે ગુનો સ્વીકારીને ‘પ્લીડ ગીલ્ટી’ કરી હતી. કોર્ટે યાસીનની દલીલ સ્વીકારી અને તેને દોષિત ઠેરવ્યો. આ કેસમાં યાસીનને કેટલી સજા થશે તે અંગે કોર્ટ આગળ નિર્ણય કરશે. પરંતુ આ કેસમાં યાસીનને વધુમાં વધુ આજીવન કેદની સજા થઈ શકે છે.
શું છે આરોપ?
અલગતાવાદી નેતા યાસીન મલિક પર ગુનાહિત ષડયંત્ર રચવા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઈએ કે આ કેસમાં યાસીન મલિકે કોર્ટની સામે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો, મલિકે કોર્ટને જણાવ્યું હતું કે તે UAPAની કલમ 16 (આતંકવાદી પ્રવૃત્તિ), 17 (આતંકવાદી પ્રવૃત્તિ માટે ભંડોળ એકત્ર કરવા), 18 (આતંકવાદી કૃત્ય કરવાનું કાવતરું) અને 20 (આતંકવાદી જૂથ અથવા સંગઠનનો સભ્ય હોવા) માટે દોષિત છે અને ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી (ગુનાહિત કાવતરું) અને 124-એ (રાજદ્રોહ) હેઠળ તેમની સામેના આરોપોને પડકારવા માંગતા નથી.
કોણ છે આરોપીઓ?
આરોપીઓમાં યાસીન મલિક ઉપરાંત શબ્બીર શાહ, મસરત આલમ, પૂર્વ ધારાસભ્ય રશીદ એન્જિનિયર, ઝહૂર અહેમદ શાહ વતાલી, બિટ્ટા કરાટે, આફતાબ અહેમદ શાહ, અવતાર અહેમદ શાહ, નઈમ ખાન, બશીર અહેમદ ભટ, ઉર્ફે પીર સૈફુલ્લા સહિત ઘણા કાશ્મીરી અલગતાવાદી નેતાઓનો સમાવેશ થાય છે.
પટિયાલા હાઉસ કોર્ટની સ્પેશિયલ એનઆઈએ કોર્ટના વિશેષ ન્યાયાધીશ પ્રવીણ સિંહે 16 માર્ચના આદેશમાં કહ્યું હતું કે સાક્ષીઓના નિવેદન અને દસ્તાવેજોનું વિશ્લેષણ દર્શાવે છે કે તમામ આરોપીઓ એકબીજા સાથે સામાન્ય હેતુ ધરાવે છે અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે સાથે સંકળાયેલા હતા અને પાકિસ્તાનના ભંડોળ હેઠળ આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા હતા.
વિશેષ ન્યાયાધીશે અગાઉ કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ તે સ્થાપિત થયું છે કે મલિક અને અન્ય લોકોને આતંકવાદ માટે સીધા પૈસા મળતા હતા. કોર્ટે એમ પણ કહ્યું હતું કે મલિકે સ્વતંત્રતા સંગ્રામના નામ પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે ભંડોળ એકત્ર કરવાના હેતુથી વિશ્વભરમાં એક વિસ્તૃત મિકેનિઝમ સ્થાપિત કરી હતી.