વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રા પાછળનું કારણ સામે આવ્યુ, યાત્રા પહેલા પીએમે ખુદ ટ્વિટ કરીને આપી જાણકારી
યાત્રા પ્રથમ તબક્કામાં પીએમ મોદી (PM Modi) બર્લિનમાં (Berlin) જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ છઠ્ઠી ભારત-જર્મની સલાહકાર બેઠકની સહ-અધ્યક્ષતા પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સોમવારથી ત્રણ દેશોના પ્રવાસે જઈ રહ્યા છે. પ્રવાસના એક દિવસ પહેલા રવિવારે પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે આગામી દિવસોમાં હું મહત્વપૂર્ણ દ્વિપક્ષીય અને બહુપક્ષીય કાર્યક્રમો માટે જર્મની (Germany), ડેનમાર્ક અને ફ્રાંસની (France) મુલાકાત લઈશ. યાત્રાનો પ્રથમ તબક્કો જર્મનીમાં હશે, જ્યાં હું ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળીશ અને છઠ્ઠી ભારત-જર્મની સલાહકાર બેઠકની સહ-અધ્યક્ષતા કરીશ.
સાથે એ પણ કહ્યું કે, પેરિસમાં હું મારા મિત્ર રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળીશ, જેઓ હમણાં જ ફરીથી ચૂંટાયા છે. અમારી વાતચીત દરમિયાન અમે વિવિધ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરીશું. જર્મની અને ડેનમાર્કમાં રહીને હું અમારા દેશો વચ્ચે વેપાર અને વાણિજ્યને પ્રોત્સાહન આપવાના માર્ગો પર ચર્ચા કરવા માટે બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરીશ. આ દેશોમાં ભારતીય સમુદાયને મળીને પણ મને આનંદ થશે. આ વર્ષે વડાપ્રધાન મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે.
પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના આમંત્રણ પર 2 મેના રોજ બર્લિનની મુલાકાત લેશે. આ પછી તેઓ 3-4મેના રોજ ડેનમાર્કના પોતાની સમકક્ષ મેટ્ટે ફ્રેડ્રિકસનના આમંત્રણ પર વાટાઘાટોમાં ભાગ લેવા માટે કોપનહેગનની યાત્રા કરશે. 2જી ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે. તેમની યાત્રાના છેલ્લા તબક્કામાં તેઓ ફ્રાન્સમાં સંક્ષિપ્ત રોકાણ કરશે, જ્યાં મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે યુરોપની તેમની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ ક્ષેત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. નિવેદન અનુસાર, વડાપ્રધાને કહ્યું કે આ બેઠકો દ્વારા હું અમારા યુરોપિયન ભાગીદારો સાથે સહકારની ભાવનાને વધુ ગાઢ બનાવવા ઈચ્છું છું. આ દેશો ભારતની શાંતિ અને સમૃદ્ધિની શોધમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. વડાપ્રધાનની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેનના આક્રમણને કારણે મોટા ભાગના યુરોપ દેશો રશિયા સામે એક થઈ ગયા છે.
In the coming days, I will be visiting Germany, Denmark and France for important bilateral and multilateral engagements.
The first leg of the visit will be in Germany, where I will meet Chancellor @OlafScholz and co-chair the 6th India-Germany Inter-Governmental Consultations.
— Narendra Modi (@narendramodi) May 1, 2022
પીએમ મોદી બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે વાતચીત કરશે
યાત્રાના પ્રથમ તબક્કામાં પીએમ મોદી બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ છઠ્ઠી ભારત-જર્મની સલાહકાર બેઠકની સહ-અધ્યક્ષતા પણ કરશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ બેઠકમાં બંને દેશોના ઘણા મંત્રીઓ હાજરી આપશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સત્તામાં આવેલા સ્કોલ્ઝ સાથે મોદીની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને ચાન્સેલર સ્કોલ્ઝ સંયુક્ત રીતે બિઝનેસ કોન્ફરન્સને પણ સંબોધિત કરશે. પીએમ મોદી જર્મનીમાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.