‘તમે દિલ્હીના લોકોથી કેમ નારાજ છો?’… બજેટ રોકવા સામે કેજરીવાલે PM Modiને લખ્યો પત્ર
Arvind Kejriwal Writes To PM Modi: અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને કહ્યું કે દેશના 75 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ રાજ્યનું બજેટ રોકી દેવામાં આવ્યું હોય.
!['તમે દિલ્હીના લોકોથી કેમ નારાજ છો?'... બજેટ રોકવા સામે કેજરીવાલે PM Modiને લખ્યો પત્ર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/03/Arvind-Kejriwal-PM-Modi.jpg?w=1280)
આમ આદમી પાર્ટીની સરકાર મંગળવારે એટલે કે આજે દિલ્હી વિધાનસભામાં પોતાનું બજેટ રજૂ કરશે નહીં. કેજરીવાલ સરકારે દાવો કર્યો હતો કે, બજેટ રજૂ કરવાની મંજૂરી કેન્દ્ર સરકાર પાસેથી મળી શકી નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને કહ્યું કે દેશના 75 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ રાજ્યનું બજેટ રોકી દેવામાં આવ્યું હોય. કેજરીવાલે પત્રમાં આગળ લખ્યું છે કે તમે (પીએમ મોદી) દિલ્હીના લોકોથી નારાજ કેમ છો?’કૃપા કરીને દિલ્હીનું બજેટ રોકશો નહીં’. અહીંના લોકો તમને હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે. અમારું બજેટ પાસ કરો.
ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, AAP સરકાર પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે, કારણ કે તેના બજેટ પ્રસ્તાવમાં જાહેરાત માટે વધુ નાણાં ફાળવવાની વાત છે. દિલ્હીના અન્ય વિકાસ કાર્યો માટે પ્રમાણમાં ઓછી રકમ ફાળવવામાં આવી છે. જો કે, સુત્રો જણાવે છે કે કેજરીવાલ સરકારે હજુ સુધી આ પ્રશ્નોના કોઈ જવાબ આપ્યા નથી.
આમ આદમી પાર્ટીએ આરોપોને સદંતર નકારી કાઢ્યા હતા.
આમ આદમી પાર્ટીના નેતાઓએ આ આરોપોને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા અને તેને જુઠ્ઠાણા ગણાવ્યા. તેમના મતે સમગ્ર બજેટ 78,800 કરોડ રૂપિયા છે. તેમાંથી રૂ. 22,000 કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવાનો પ્રસ્તાવ છે. તે જ સમયે, જાહેરાતો માટે માત્ર 550 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. AAP નેતાઓના જણાવ્યા અનુસાર, જાહેરાત માટે ફાળવવામાં આવેલી રકમ ગયા વર્ષના બજેટ જેટલી જ છે.
આપને જણાવી દઈએ કે એક્સાઈઝ પોલિસીમાં કથિત અનિયમિતતાઓને કારણે દિગ્ગજ AAP નેતા મનીષ સિસોદિયાએ હાલમાં જ ડેપ્યુટી સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હાલ તે તિહાર જેલમાં બંધ છે. આ મામલે સીબીઆઈએ તેમની ઘણી વખત પૂછપરછ કરી છે. રાઉસ એવન્યુ કોર્ટે તેની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવી હતી.સત્યેન્દ્ર જૈન પણ આ સમયે જેલમાં બંધ છે. તપાસ એજન્સીઓની કાર્યવાહી પર કેજરીવાલે કહ્યું કે તે દુર્ભાવનાથી પ્રેરિત છે. કેજરીવાલે કહ્યું હતું કે CBI અને ED કેન્દ્ર સરકારના ઈશારે કામ કરી રહી છે.