Breaking News : સુરતના તક્ષશીલા જેવી ઘટના UP માં, કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ, અનેક દાઝ્યા
લખનઉના અલીગંજમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓ ફસાયા હતા. જીવ બચાવવા કેટલાક વિદ્યાર્થીઓએ છત પરથી કૂદવાનો પ્રયાસ કર્યો.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારના પુરાનિયા વિસ્તારમાં સોમવારે ભીષણ આગની ઘટના સામે આવી હતી. એક દુકાનમાં લાગેલી આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી સમગ્ર ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. દુકાનની ઉપર આવેલા કોચિંગ સેન્ટર સુધી આગ અને ધુમાડો પહોંચતા અંદર હાજર વિદ્યાર્થીઓ અને અન્ય લોકો ફસાઈ ગયા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે લોકોને બહાર નીકળવાનો સમય પણ મળ્યો નહોતો. જીવ બચાવવા માટે કેટલાક વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ બાલ્કની તેમજ છત પરથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.
આગ પર કાબૂ મેળવવા પ્રયાસ
આગ લાગ્યાની જાણ થતાં જ સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં જોડાયા હતા અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મદદ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને પોલીસની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનો આગ પર કાબૂ મેળવવા અને અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સતત કામગીરી કરી રહ્યા હતા.
અધિકારીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક, પોલીસ મહાનિર્દેશક (ફાયર) તેમજ લખનૌના જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાખ જી. ઐય્યર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરીની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઘટનાની તાત્કાલિક નોંધ લઈને અધિકારીઓને ઝડપથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી છે. સાથે જ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ચેન્નાઈમાં ઝીંગા પ્રોસેસિંગ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજ, 7 લોકોના મોત, 10થી વધુની હાલત ગંભીર
