ઓક્સિજન સપ્લાય મુદ્દે કેન્દ્ર સરકારને સુપ્રિમ કોર્ટની ચેતવણી, એવી સ્થિતિ ના સર્જશો કે અમારે કડકાઈ દાખવવી પડે
ઓક્સિજન વિતરણ મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાઈ થઈ હતી. આ અરજીમાં કેન્દ્ર સરકારે કર્ણાટકને 1200 મેટ્રિક ટન ઓક્સિજન ( Oxygen ) આપવાના હાઇકોર્ટના આદેશ પર સ્ટેની માંગ કરી હતી. કર્ણાટક હાઈકોર્ટના હુકમ સામે સ્ટે આપવાનો સુપ્રિમ કોર્ટે ઇનકાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટે કર્ણાટકને 1200 મેટ્રિક ટન ઓક્સિજન ( Oxygen ) સપ્લાય કરવાના કર્ણાટક હાઈકોર્ટના આદેશમાં કોઈ દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. સાથોસાથ કોર્ટે દિલ્હીને દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન આપવાનો આદેશ પણ આપ્યો છે અને કહ્યું કે કેન્દ્ર સરકારે આવી સ્થિતિ ન સર્જવી જોઈએ કે આપણે કડક વલણ અપનાવવું પડે. ઓક્સિજન સપ્લાય મામલે કેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી આજરોજ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાઈ હતી. કેન્દ્રએ સુપ્રિમ કોર્ટમાં રીટ પિટીશન કરીને કર્ણાટકને 1200 મેટ્રિક ટન ઓક્સિજન ફાળવવા કર્ણાટક હાઈકોર્ટે આપેલા આદેશ ઉપર મનાઈ હુકમ આપવા માંગ કરી હતી.
સુપ્રિમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના આદેશમાં કોઈ જ પ્રકારે દખલ કરવાનો ઇન્કાર કરતાં કેન્દ્ર સરકારને કોવિડ -19 દર્દીઓની સારવાર માટે રાજ્યને ફાળવેલ 965 મેટ્રિક લિક્વિડ મેડિકલ ઓક્સિજન વધારીને 1200 મેટ્રિક કરવા જણાવ્યું હતું. કર્ણાટક હાઈકોર્ટના કેસમાં સુપ્રિમ કોર્ટે કહ્યું કે, હાઇકોર્ટે કારણ જણાવતાં આદેશ આપ્યો છે. કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા 1700 મેટ્રિક ટન ઓક્સિજનની માંગ સ્વીકારવાનો કેન્દ્ર સરકારે ઇન્કાર કર્યા બાદ કેન્દ્રને આ આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર સાથે વાત કરીને આ મામલાનો ઉકેલ લાવવો જોઈએ. ગઈકાલે ગુરુવારે સોલિસીટર જનરલ તુષાર મહેતા દ્વારા કર્ણાટક હાઈકોર્ટનો આદેશ સુપ્રીમ કોર્ટ સમક્ષ મુકીને આ આદેશમાં દરમ્યાનગીરી કરવા વિંનતી કરી હતી.
દિલ્હીને મળે રોજ 700 એમટી ઓક્સિજન
ત્યારબાદ, કેસની સુનાવણી કરતાં ન્યાયામૂર્તિ ડી વાય ચંદ્રચુડ અને ન્યાયામૂર્તિ એમ.આર. શાહની બનેલી ખંડપીઠે આગામી નવો કોઈ આદેશ આપવામાં ના આવે ત્યા સુધી દિલ્લીને દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન પહોંચાડવો. દિલ્હી વતી વરિષ્ઠ એડવોકેટ રાહુલ મહેરાએ કોર્ટને દિલ્હીને પૂરા પાડવામાં આવતા ઓક્સિજન વિશે માહિતી આપી હતી. શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી દિલ્હી સરકારને 86 મેટ્રિક ટન ઓક્સિજન મળી ગયો હતો. 16 મેટ્રિક ટન સાંજ સુધીમાં પૂરો પાડવામાં આવશે, ન્યાયામૂર્તિ ચંદ્રચુડે કહ્યું, “અમે દિલ્હી માટે 700 મેટ્રિક ટન ઓક્સિજન માંગીએ છીએ અને અમે તેના માટે કડકાઈ નથી દાખવતા. દિલ્હી સરકારે સુપ્રિમકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી કે સુપ્રિમ કોર્ટનો આદેશ હોવા છતાં, દિલ્લીને 700 મેટ્રીક ટન ઓક્સિજન સપ્લાય મળ્યો નથી.