ગુજરાતના રમખાણને લગતા એક સિવાયના તમામ અને બાબરી ધ્વંસ સંબધિત કેસ સુપ્રીમ કોર્ટે બંધ કર્યા
મંગળવારે એક મોટો નિર્ણય લેતા સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ ધ્વંસ અને 2002માં ફાટી નિકળેલા ગુજરાત રમખાણો સંબંધિત તમામ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના 2019ના નિર્ણયને ધ્યાનમાં રાખીને, અવમાનના કેસને આગળ વધારી શકાય નહીં.
મંગળવારે એક મોટો નિર્ણય લેતા સુપ્રીમ કોર્ટે (Supreme Court) બાબરી મસ્જિદ ધ્વંસ (Babri Masjid Demolition) અને 2002માં ફાટી નિકળેલા ગુજરાત રમખાણો (Gujarat Riots) સાથે જોડાયેલા કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોને લઈને દાખલ કરવામાં આવેલી અનેક અરજીઓનો હવે કોઈ અર્થ નથી. આથી તેમની સામેની કાર્યવાહી બંધ કરવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોના 9માંથી 8 કેસમાં ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. આ સિવાય કોર્ટે બાબરી મસ્જિદ ધ્વંસ સંબંધિત અવમાનના કેસને પણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના 2019ના નિર્ણયને ધ્યાનમાં રાખીને, અવમાનના કેસને આગળ વધારી શકાય નહીં.
હકીકતમાં, સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં એડવોકેટ પ્રશાંત ભૂષણ અને પત્રકાર તરુણ તેજપાલ વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે બંનેએ માફી માંગી છે. હકીકતમાં, 2009માં એક ઈન્ટરવ્યુમાં પ્રશાંત ભૂષણે ભૂતપૂર્વ અને વર્તમાન ન્યાયાધીશો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આ મામલે દલીલ કરતા કપિલ સિબ્બલે કહ્યું કે પ્રશાંત ભૂષણ અને તરુણ તેજપાલે માફી માંગી લીધી છે. તેથી બંને સામેનો કેસ બંધ થઈ શકે છે. તેમની માંગ જસ્ટિસ ઈન્દિરા બેનર્જી, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેન્ચે સ્વીકારી હતી.
નવેમ્બર 2009માં પ્રશાંત ભૂષણ અને તરુણ તેજપાલને નોટિસ આપવામાં આવી હતી. આ અંગે પ્રશાંત ભૂષણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ‘2009માં મેં તહેલકાને આપેલા ઈન્ટરવ્યુમાં ભ્રષ્ટાચાર શબ્દનો ઉપયોગ કોઈ ખાસ વસ્તુ માટે કરવામાં આવ્યો ન હતો. મેં આ વાત વ્યાપક સંદર્ભમાં કહી છે. તેને નાણાકીય ભ્રષ્ટાચાર સાથે કોઈ લેવાદેવા નથી. જો કોઈ ન્યાયાધીશ અથવા તેમના પરિવારને આનાથી દુઃખ થયું હોય, તો હું તેના માટે માફી માંગુ છું. પ્રશાંત ભૂષણે ઓગસ્ટ 2020માં પોતાના નિવેદન માટે માફી માંગી હતી.