હવે હવામાં ઉધરસ ખાવાથી વધી શકે છે કોરોનાનું જોખમ, નવા અભ્યાસમાં કરાયો ચોંકાવનારો દાવો
બુધવારે એક જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખુલ્લામાં ઉધરસ ખાય છે, ત્યારે તે દિશામાંથી પવન ફૂંકાવાને કારણે વાયરસ લાંબા અંતર સુધી ઝડપથી ફેલાય છે.
ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બેના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ પાતળી હવામાં પણ SARS-CoV2 સંક્રમણનું જોખમ વધી જાય છે, અભ્યાસમાં ઘરની બહાર માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવી છે, ખાસ કરીને જ્યારે હળવો પવન હોય. બુધવારે એક જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખુલ્લામાં ઉધરસ ખાય છે, ત્યારે તે દિશામાંથી પવન ફૂંકાવાને કારણે વાયરસ લાંબા અંતર સુધી ઝડપથી ફેલાય છે.
બહાર માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે
આઈઆઈટી, બોમ્બેના સહ-અભ્યાસકર્તા અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, “આ અભ્યાસ પવનની દિશામાં ઉધરસ ખાવાથી સંક્રમણ ઉંચું જોખમ સૂચવે છે. તેના તારણો અનુસાર ખાસ કરીને પાતળી હવા ચાલવાની સ્થિતિમાં અમે માસ્ક પહેરવાની ભલામણ કરીએ છીએ. સંશોધકોએ કહ્યું કે ઉધરસ ખાતી વખતે કોણીનો ઉપયોગ કરવો અથવા ચહેરો બીજી તરફ ફેરવવા જેવી અન્ય માર્ગદર્શિકાઓનું પાલન કરવુ જોઈએ. જેથી બહારના લોકો સાથે મુલાકાતમાં સંક્રમણનું પ્રકોપ ઘટાડી શકાય.
દેશમાં કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના કેસોની વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 15,823 નવા કેસ નોંધાયા છે. જે બાદ કુલ કેસ 3,40,01,743 પર પહોંચી ગયા છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યા 2,07,653 છે. બીજી બાજુ અગાઉના દિવસે 22,844 લોકો સાજા થયા હતા, ત્યારબાદ કોરોનામાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 3,33,42,901 નોંધાઈ હતી. તે જ સમયે 226 લોકોના મોત થયા છે. જે બાદ કુલ મૃત્યુઆંક 4,51,189 થયો છે.
12 ઓક્ટોબર 2021 એટલે કે ગઈકાલ સુધી કુલ 58,63,63,442 સેમ્પલનું કોવિડ -19 માટે ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. તેમાંથી ગઈકાલે 13,25,399 સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. ભારતીય તબીબી સંશોધન પરિષદે આ માહિતી આપી. તે જ સમયે, એક દિવસમાં 50,63,845 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા હતા, આ સાથે જ દેશમાં કુલ રસીકરણનો આંકડો 96 કરોડને પાર કરી ગયો છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે અને દેશ કોરોના મહામારીમાંથી ઉગરી રહ્યો છે. ત્યારે સરકાર બધા પ્રતિબંધો હટાવી રહી છે. પરંતુ નિષ્ણાંતો દ્વારા ત્રીજી લહેરની આગાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે સરકાર પણ આ વિશે ગંભીરતાથી વિચારી રહી છે.
તેમજ એટલા માટે રસીકરણ પર ભાર મુકી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ હવે બાળકોની રસીને પણ મંજુરી આપવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેર અંગે બાળકો પરના જોખમની ચર્ચા થઈ રહી હતી. ત્યારે બાળકોની રસીને મંજુરી મળતા વાલીઓએ પણ એક રાહત અનુભવી છે.