Sri Lanka Crisis: શ્રીલંકા સંકટ પર ભારત સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, નિર્મલા સીતારમણ અને એસ જયશંકર કરશે બેઠકની અધ્યક્ષતા
કેન્દ્ર સરકારે રવિવારે ચોમાસુ સત્રને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ દરમિયાન DMK અને AIADMKએ શ્રીલંકાના સંકટ પર હસ્તક્ષેપની માંગ કરી હતી. આ માગને સ્વીકારી કેન્દ્ર સરકારે મંગળવારે ફરી સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
શ્રીલંકા (Sri Lanka) છેલ્લા ત્રણેક મહિનાથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર તળિયાજાટક થઈ ગયો છે. જેના કારણે દેશમાં ઉર્જા સંકટ પણ ઘેરુ બન્યુ છે. તો સાથે સાથે ખાદ્ય મોંઘવારી (Inflation) દર પણ નવી ઊંચાઈએ છે. જેના કારણે વર્તમાનમાં શ્રીલંકા રાજનીતિક અસ્થિરતાનો સામનો કરી રહ્યુ છે. હજુ થોડા દિવસ અગાઉ જ કોલંબોમાં ઉઠેલા જનઆક્રોશને કારણે તત્કાલિન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) ને દેશ છોડવો પડ્યો હતો ત્યારબાદ તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તો આ તમામ ઘટનાક્રમ વચ્ચે શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રકિયા શરૂ થઈ ગઈ છે. શ્રીલંકાની આ તમામ સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે અને આ મુદ્દે ચર્ચા માટે ભારત સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તેની અધ્યક્ષતા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર કરશે.
શ્રીલંકા સંકટ પર મંગળવારે મળશે સર્વપક્ષીય બેઠક
શ્રીલંકા સંકટ પર કેન્દ્ર સરકાર દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠક અંગે જાણકારી આપતા કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે આ બેઠક 19 જુલાઈએ મળશે. તેની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને એસ જયશંકર કરશે.
તમિલનાડુના રાજકીય પક્ષોની માંગ પર અમલ
કેન્દ્ર સરકારે ચોમાસુ સત્ર પહેલા રવિવારે જ સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક ઉપરાંત કેન્દ્ર સરકારે મંગળવારે શ્રીલંકા સંકટ પર સર્વપક્ષીય બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે, જે પણ ચોમાસુ સત્ર પહેલા મળશે. સંસદના ચોમાસુ સત્ર પહેલા રવિવારે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક દરમિયાન, તમિલનાડુના બંને મુખ્ય રાજકીય પક્ષો DMK અને AIADMK એ પાડોશી દેશ શ્રીલંકામાં ભારતના હસ્તક્ષેપની માંગ કરી હતી. આ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા NDA સમર્થિત DMKના નેતા એમ થમ્બીદુરાઈએ કહ્યું કે ભારતે શ્રીલંકા સંકટના સમાધાન માટે હસ્તક્ષેપ કરવો જોઈએ. તો પાર્ટીના નેતા ટી.આર. બાલુએ પણ આ ટાપુ દેશની સ્થિતિના સમાધાનમાં ભારતના હસ્તક્ષેપની માંગ કરી હતી. જેના પગલે કેન્દ્ર સરકારે મંગળવારે શ્રીલંકા સંકટ પર સર્વપક્ષીય બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે.
મદદ કરવા બદલ શ્રીલંકાએ કરી ભારતની પ્રશંસા
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં હાલના દિવસોમાં રાજકીય અસ્થિરતાનું વાતાવરણ છે. તો બીજી તરફ દેશમાં ઊર્જા સંકટ વધુ ઘેરુ બન્યુ છે. જેના કારણે સ્થાનિક લોકોને ત્રણ મહિના બાદ LPG ગેસની સપ્લાય કરવામાં આવી રહી છે. પેટ્રોલ ડીઝલની પણ ભારે અછત છે, પરંતુ ભારત શ્રીલંકાને દરેક રીતે મદદ કરી રહ્યું છે. ત્યારે થોડા દિવસ પહેલા શ્રીલંકાના ઉર્જા મંત્રીએ ભારતની પ્રશંસા કરતા કહ્યુ હતુ કે એકલુ શ્રીલંકાની મદદ કરી રહ્યુ છે.