કોંગ્રેસના આરોપો પર સ્મૃતિ ઈરાનીનો પલટવાર, કહ્યું- મારી 18 વર્ષની દીકરી બાર નથી ચલાવતી, તેની માતાએ રાહુલ સામે ચૂંટણી લડી, એ જ તેનો વાંક
કોંગ્રેસે શનિવારે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી ગોવામાં ગેરકાયદે બાર ચલાવી રહી છે. કોંગ્રેસના આ આરોપ પર હવે સ્મૃતિ ઈરાનીએ પલટવાર કર્યો છે.
કોંગ્રેસે (Congress) શનિવારે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)ની પુત્રી ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવી રહી છે. મુખ્ય વિપક્ષી પાર્ટીના આ આરોપ પર હવે સ્મૃતિ ઈરાનીએ પલટવાર કર્યો છે. તેમણે જણાવ્યું કે મારી 18 વર્ષની દીકરી ભણે છે, બાર નથી ચલાવતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા બતાવવામાં આવેલા કાગળોમાં તેનું નામ નથી. ઈરાનીએ વધુમાં કહ્યું કે મારી એટલી જ ભૂલ છે કે મેં અમેઠીમાં રાહુલ ગાંધી (Rahul Gandhi)ને હરાવ્યા. પોતાની પુત્રી પર લાગેલા આરોપો પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તે કોંગ્રેસના નેતાઓ સામે કોર્ટમાં કેસ કરશે.
કેન્દ્રીય મંત્રીની પુત્રીના વકીલ કિરાત નાગરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના અસીલ ‘સિલી સોલ્સ’ નામની રેસ્ટોરન્ટની માલિકી ધરાવતા નથી કે ના તો તેને ચલાવે છે અને તેમને કોઈપણ સત્તાધિકારી તરફથી કોઈ કારણ બતાવો નોટિસ મળી નથી. નાગરાએ જણાવ્યું હતું કે માત્ર સ્વાર્થ સાધવાના હેતુથી ખોટી રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહી છે જેઓ તેમની અસીલની માતા, પ્રતિષ્ઠિત નેતા સ્મૃતિ ઈરાની સાથે રાજકીય સ્વાર્થ સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સ્મૃતિ ઈરાનીની પુત્રીના વકીલે કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
આરોપોને પાયાવિહોણા ગણાવતા વકીલે કહ્યું “આ ઘણુ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓ તથ્યોની ચકાસણી કર્યા વિના માત્ર અર્થહીન બાબતને સનસની બનાવવા માટે ખોટો દુષ્પ્રચાર કરી રહ્યા છે અને તેઓ મારા અસીલને માત્ર એટલે બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે એક નેતાની દીકરી છે. કોંગ્રેસે એક પેપર બતાવીને દાવો કર્યો છે કે એક્સાઈઝ વિભાગ દ્વારા સ્મૃતિ ઈરાનીની પુત્રીને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી અને જે અધિકારીએ નોટિસ આપી હતી તેની કથિત રીતે બદલી કરવામાં આવી છે.
સ્મૃતિ ઈરાનીના પરિવાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ: પવન ખેડા
કોંગ્રેસના મીડિયા અને પ્રચાર પ્રમુખ પવન ખેડાએ પત્રકારોને જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના પરિવાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. ગોવામાં તેમની પુત્રી દ્વારા ચલાવવામાં આવતી એક રેસ્ટોરન્ટ પર દારૂ પીરસવા માટે નકલી લાઈસન્સ ઈશ્યુ કરવાનો આરોપ છે અને તે કોઈ સૂત્રોના હવાલાથી અથવા એજન્સીઓ દ્વારા રાજનીતિક બદલો લેવા માટે આરોપ નથી લગાવાયો, પરંતુ માહિતી અધિકાર (RTI) અંતર્ગત પ્રાપ્ત થયેલી જાણકારીમાં આ ખુલાસો થયો છે.
તેણે દાવો કર્યો હતો કે, “કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રીએ તેના સિલી સોલ્સ કેફે એન્ડ બાર માટે બનાવટી દસ્તાવેજો આપીને ‘બાર લાઈસન્સ’ મેળવ્યું હતું.” કોંગ્રેસના નેતાના જણાવ્યા અનુસાર 22 જૂન 2022 એ જ લાયસન્સ રિન્યુ કરવા માટે જે ‘એન્થની ડીગામા’ના નામથી અરજી કરાઈ છે એ એન્થનીનું ગત વર્ષે મે મહિનામાં જ મોત થયુ છે. એન્થનીના આધાર કાર્ડમાંથી જાણવા મળ્યુ કે મુંબઈના વિલેપાર્લેનો તે રહેવાસી હતો, RTI હેઠળ માહિતી માંગનારા વકીલને તેનુ મૃત્યુનું પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થયું છે.