Russia Ukraine War: યુક્રેન સંકટ પર પીએમ મોદીની હાઈ લેવલ મીટિંગ, ભારતીયોની વતન વાપસીની લઈ રહ્યા છે માહિતી
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ચાલી રહેલા અભિયાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે.
Russia Ukraine War: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) યુક્રેન સંકટ પર સતત નજર રાખી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ચાલી રહેલા અભિયાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે લગભગ 20,000 ભારતીયોમાંથી 6000ને અત્યાર સુધીમાં ઘરે લાવવામાં આવ્યા છે. તે જ સમયે 17,000 ભારતીય નાગરિકોએ યુક્રેનની સરહદો છોડી દીધી છે. ઉલ્લેખનીય છે કે યુક્રેન પર રશિયાના હુમલા બાદ વડાપ્રધાન સતત વિશ્વના નેતાઓ સાથે વાત કરી રહ્યા છે. તેમણે મંગળવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વહેલી તકે યુદ્ધવિરામના મહત્વ પર સહમત થયા હતા.
જણાવી દઈએ કે યુક્રેનના કેટલાક વિસ્તારોમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ભારતે તેના નાગરિકોને તાત્કાલિક ખારકીવ છોડીને તેની નજીકના ત્રણ સુરક્ષિત સ્થળો તરફ જવા માટે કહ્યું છે, જે 16 કિમીની ત્રિજ્યામાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયા તરફથી મળેલી માહિતીના આધારે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તરત જ તેના તમામ નાગરિકોને ખારકીવ છોડવા માટે કહ્યું છે.
આ દરમિયાન નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે પ્રથમ એડવાઈઝરી જાહેર કરવામાં આવી ત્યારથી લગભગ 17,000 ભારતીયોએ યુક્રેનની સરહદ છોડી દીધી છે. તેમણે એમ પણ જણાવ્યું કે ભારતીયોને દેશમાં પાછા લાવવા માટે ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન ગંગા’ અભિયાન હેઠળ છેલ્લા 24 કલાકમાં છ ફ્લાઈટ ભારત પહોંચી છે.
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 15 ફ્લાઈટ્સ આવી ચૂકી છે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે યુક્રેનમાંથી લોકોની વાપસીની કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ 15 ફ્લાઈટ્સ ભારત આવી છે. તેમણે કહ્યું કે આગામી 24 કલાકમાં 15 ફ્લાઈટ્સ નક્કી કરવામાં આવી છે, જેમાંથી કેટલીક ફ્લાઈટ ચાલુ છે. ભારતીય વાયુસેના પણ આ ઓપરેશનમાં જોડાઈ છે.
યુદ્ધના સાતમા દિવસે રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી
યુક્રેનમાં સાત દિવસના યુદ્ધમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા હજુ સ્પષ્ટ નથી. રશિયા અને યુક્રેન બંનેમાંથી કોઈએ માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા જણાવી નથી. યુક્રેનની રાજ્ય કટોકટી સેવા અનુસાર 2,000થી વધુ નાગરિકો માર્યા ગયા છે, જો કે આ દાવાની પુષ્ટિ થઈ શકી નથી. યુએન માનવાધિકાર કાર્યાલયે જણાવ્યું હતું કે તેણે 136 નાગરિકોના મોત નોંધ્યા છે, પરંતુ વાસ્તવિક મૃત્યુઆંક ઘણી વધારે હોવાનું કહેવાય છે. લગભગ 8,74,000 લોકોએ યુક્રેન છોડી દીધું છે અને યુએન શરણાર્થી એજન્સીએ ચેતવણી આપી છે કે ટૂંક સમયમાં આ સંખ્યા 10 લાખને વટાવી શકે છે. ઘણા લોકોએ ભૂગર્ભ બંકરોમાં આશરો લીધો છે.
આ પણ વાંચો : યુક્રેનમાં બીજા ભારતીય વિદ્યાર્થીનું મોત, બીમારીના કારણે મૃત્યુ થયુ હોવાની વિદેશ મંત્રાલયની પુષ્ટિ