Railway New Rule: હવે ટ્રેન ઉપડવાના 10 કલાક પહેલા જ ખબર પડી જશે ટિકિટ કન્ફર્મ છે કે નહીં! જાણો નવો નિયમ
ભારતીય રેલવેમાં મુસાફરી કરતા કરોડો સામાન્ય મુસાફરો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે ટ્રેન ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તે જાણવા માટે મુસાફરોએ ટ્રેન ઉપડવાના છેલ્લા 4 કલાક સુધી રાહ જોવી પડશે નહીં. જાણો વિગતે.

રેલવે મુસાફરો માટે રાહતના સમાચાર છે. હવે, ટ્રેન મુસાફરોને તેમની ટિકિટ કન્ફર્મ છે કે નહીં તે લગભગ 10 કલાક પહેલા ખબર પડશે. અહેવાલો અનુસાર, રેલવે બોર્ડે રેલવે મુસાફરોને નોંધપાત્ર રાહત આપવા માટે એક નવો આદેશ જારી કર્યો છે. હવે, ટ્રેનો માટેનો પહેલો રિઝર્વેશન ચાર્ટ અગાઉથી તૈયાર કરવામાં આવશે, જેથી મુસાફરો સમયસર સીટની ઉપલબ્ધતા જાણી શકે. પહેલાં, આ મર્યાદા 4 કલાક પહેલા હતી, જેના કારણે રેલવે મુસાફરોને ઘણી અસુવિધા થતી હતી. જ્યારે તેમની ટિકિટ કન્ફર્મ ન થતી ત્યારે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. ચાલો તમને એ પણ જણાવીએ કે રેલવે દ્વારા કયા પ્રકારની માહિતી આપવામાં આવી છે.
ક્યારે તૈયાર થશે ચાર્ટ?
રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર,
- સવારે 5:01 થી બપોરે 2:00 વાગ્યા વચ્ચે દોડતી ટ્રેનો માટે પહેલો ચાર્ટ અગાઉના દિવસે રાત્રે 8 વાગ્યા સુધીમાં તૈયાર કરવામાં આવશે.
- બપોરે 2:01 થી 11:59 વાગ્યા અને રાત્રે 12:01 થી સવારે 5:00 વાગ્યા વચ્ચે દોડતી ટ્રેનો માટેનો પહેલો ચાર્ટ પણ ઓછામાં ઓછો 10 કલાક પહેલાં તૈયાર કરાશે.
મુસાફરોને મળશે મોટો ફાયદો
આ નિર્ણયથી મુસાફરો સમયસર પોતાની ટિકિટની અપડેટ જાણી શકશે. ખાસ કરીને દૂરના વિસ્તારોમાંથી મુસાફરી કરનારા લોકોને સ્ટેશન પહોંચવાની તૈયારી માટે પૂરતો સમય મળશે. ટિકિટ કન્ફર્મ ન થાય તો બીજી વ્યવસ્થા કરવાની સમય મળશે.
રેલવે અધિકારીએ જણાવ્યું કે આ નવી વ્યવસ્થાથી મુસાફરોની ચિંતા ઘટશે અને મુસાફરી વધુ સરળ બનશે. આ આદેશ તમામ ઝોનલ રેલ્વેને અમલ માટે મોકલવામાં આવ્યો છે. રેલવે લાંબા સમયથી આ ફેરફાર માટે તૈયારી કરી રહી હતી અને હવે તે મુસાફરો માટે ઉપયોગી સાબિત થશે.
