વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવી કેબિનેટની વર્ચ્યુલ બેઠક, કોરોનાની સ્થિતિની કરાશે સમિક્ષા
કેબિનેટની બેઠકમાં ( Cabinet meeting ) હોસ્પિટલોમાં પથારીની ઉપલબ્ધતા, ઓક્સિજનની ઉપલબ્ધતા, રસીની રસીકરણની સ્થિતિ અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા જેવા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે
કોરોનાના ઝડપથી વધી રહેલા કેસોને અંકુશમાં લેવાનાં પગલાં લેવા બાબતે ચર્ચા વિચારણા કરવા સંબધે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ શુક્રવાર 30મી એપ્રિલે પ્રધાનમંડળની બેઠક ( Cabinet meeting ) બોલાવી છે. બેઠકમાં ફક્ત કેબિનેટ કક્ષાના પ્રધાનો જ નહીં પરંતુ સ્વતંત્ર પ્રભારી અને રાજ્યકક્ષાના પ્રધાનો પણ ભાગ લેશે. વર્ચુઅલ રીતે બોલાવવામાં આવેલી આ મીટીંગમાં કોરોના રોગચાળાને ઝડપથી દૂર કરવા માટે લેવામાં આવી રહેલા પગલાઓ અંગે સમિક્ષા કરાશે, પહેલી મેથી 18થી 45 વર્ષના લોકોને આપાનાર વેક્સિન બાબતે, અને ઓક્સિજન, દવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
કેબિનેટની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ રાજ્યોમાં કોરોના રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત, હોસ્પિટલોમાં પથારીની ઉપલબ્ધતા, ઓક્સિજનની ઉપલબ્ધતા, રસીની રસીકરણની સ્થિતિ અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા જેવા મહત્વના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યુમ છ્.
છેલ્લા એક અઠવાડિયાથી વડા પ્રધાન લગભગ દરરોજ વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ડોકટરો અને વૈજ્ઞાનિકો સાથે કોરોનાના રોગચાળાને કાબૂમાં લેવા તેમજ તેના માટે જરૂરી તૈયારીઓની સમીક્ષા કરવા અને લેવાના પગલાઓની ચર્ચા કરવા માટે બેઠક કરી રહ્યા છે. આ પ્રકારની બેઠકની શરૂઆત 10 રાજ્યના મુખ્ય પ્રધાનો સાથેની બેઠકથી થઈ હતી.
કેન્દ્ર સરકારના પ્રયત્નોથી, દેશના દરેક સીએચસીમાં નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા, તમામ હોસ્પિટલોને ઓક્સિજન આપવા, ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવા, હવાઈ માર્ગે તરત ઓક્સિજન પ્લાન્ટ અને ટેન્કર લાવવા, રોગને નાથવા જરૂરી તમામ દવા, સાધનોની આયાત કરવા માટેના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.