Power Crisis: 13 પાવર પ્લાન્ટને સરકારની સૂચના, જરૂરિયાતના 10 ટકા કોલસાની આયાત કરવાનો નિર્દેશ આપ્યો
કોલસાના સંકટને લઈને પ્રથમ વખત વીજળી મંત્રાલય (Power Ministry) દ્વારા આ ચેતવણી જાહેર કરવામાં આવી છે. મંત્રાલય દ્વારા આ કંપનીઓ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે કોલસા આધારિત 13 આયાતી પાવર પ્લાન્ટ (Power Plant) કંપનીઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં ઉર્જા મંત્રાલયે (Power Ministry) તેમની જરૂરિયાતના ઓછામાં ઓછા 10 ટકા કોલસાની આયાત કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે તેના પત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે હાલમાં વીજળીની માગમાં 20 ટકાનો વધારો થયો છે અને સ્થાનિક કોલસાની સપ્લાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પરંતુ વર્તમાન માગને પહોંચી વળવા તે પૂરતું નથી. વીજ ઉત્પાદન કંપનીઓને લખેલા પત્રમાં મંત્રાલયે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં સ્થિતિ ખૂબ ગંભીર બની શકે છે.
કોલસાના સંકટને લઈને પ્રથમ વખત વીજળી મંત્રાલય દ્વારા આ ચેતવણી જાહેર કરવામાં આવી છે. મંત્રાલય દ્વારા આ કંપનીઓ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. આ કંપનીઓમાં અદાણી ગ્રૂપ અને ટાટા ગ્રૂપની મોટી કંપનીઓ પણ સામેલ છે, જે આયાતી કોલસામાંથી વીજળી બનાવે છે.
ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 11 લાગુ કરી દીધી છે. સૂત્રોના હવાલાથી આ માહિતી આપવામાં આવી છે. તેના અમલીકરણનો અર્થ એ છે કે તમામ આયાતી કોલસા આધારિત પ્લાન્ટ્સે હવે સંપૂર્ણ ક્ષમતા પર પાવર જનરેટ કરવો પડશે. ગુરુવારે મોડી રાત્રે આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. તે એવા સમયે લાગુ કરવામાં આવ્યું છે જ્યારે ઉનાળાના મહિનાઓમાં વીજળીની માગ 220 GW સુધી પહોંચી ગઈ છે.
રેલવેએ 42 પેસેન્જર ટ્રેનો રદ કરી
રેલવેએ થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાના પુરવઠાની અછતને પહોંચી વળવા દેશભરમાં કોલસાના રેકના ઝડપી પરિવાહને પ્રાથમિકતા આપવા માટે 42 પેસેન્જર ટ્રેનો રદ કરી છે. રેલવેએ ગુરુવારે આ માહિતી આપી. તેમાંથી 40 ટ્રેનો 24 મે સુધી રદ રહેશે, જ્યારે બાકીની બે 8 મે સુધી પુનઃસ્થાપિત કરવામાં આવશે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં રેલવેએ પાવર પ્લાન્ટ માટે જરૂરી સામગ્રી પૂરી પાડવા માટે તેના 86 ટકા ખાલી રેકને ડાયવર્ટ કરી દીધા છે.
રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રદ કરાયેલી કુલ ટ્રેનોની સંખ્યા 40 છે, જેમાં પહેલાથી જ રદ કરાયેલી ટ્રેનોનો સમાવેશ થાય છે. રદ કરાયેલી ટ્રિપ્સની કુલ સંખ્યા 1081 છે. આ ટ્રિપ્સ 24 મે સુધી રદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો કે સૌથી વધુ અસરગ્રસ્ત 34 ટ્રેનો દક્ષિણ પૂર્વ મધ્ય (SER) રેલવે ઝોનની છે. ઉત્તર રેલવેએ 8 ટ્રેનો રદ કરી છે, જે 8 મેથી ફરી શરૂ કરવામાં આવશે. પાવર પ્લાન્ટમાં કોલસાના પરિવહનની કવાયતના ભાગરૂપે, 16 વિશેષ પેસેન્જર ટ્રેનો અથવા MEMU સહિત 26 મેલ/એક્સપ્રેસ ટ્રેનોને અસર થઈ છે.