દેશના આ એરપોર્ટ પર આજથી ચહેરો સ્કેન કરાવ્યા વિના નહી મળે પ્રવેશ
એરપોર્ટ પર હવેથી મુસાફરોને તેમના ચહેરા પરથી ઓળખ કરવામાં આવશે. ચહેરો સ્કેન કરાવવા માટે મુસાફરો ડિજિ યાત્રા એપ દ્વારા એરપોર્ટમાં પ્રવેશ કરી શકશે.
સ્થાનિક મુસાફરો માટે દિલ્લી, વારાણસી અને બેગ્લોર એરપોર્ટ ઉપર ચહેરો સ્કેન કરવામાં આવશે. ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી પર આધારિત નવી સિસ્ટમ આજથી અમલમાં આવશે. આમા સ્થાનિક મુસાફરોને તેમના ચહેરાથી ઓળખ કરવામાં આવશે. ડિજી-યાત્રા મોબાઈલ એપ દ્વારા મુસાફર એરપોર્ટ ખાતે પેપરલેસ એન્ટ્રી કરી શકશે. જે તે મુસાફરના ચહેરો ઓળખવાની આ રીતથી, એરપોર્ટની સુરક્ષા અને અન્ય ચેક પોઈન્ટ ઉપર આપોઆપ પ્રક્રિયા કરવામાં આવશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્લીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-3 માટે ડિજી-યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી માર્ચ 2023થી હૈદરાબાદ, કોલકાતા, પુણે અને વિજયવાડામાં પણ શરૂ થશે. આવનારા ટુંક સમયમાં જ ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી દેશભરના એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ નવી ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી માટે બનાવેલ ડિજી-યાત્રા મોબાઈલ એપનું બીટા વર્ઝન ગત 15 ઓગસ્ટે દિલ્લી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. એપની નોડલ એજન્સી ડિજી-યાત્રા ફાઉન્ડેશન છે, જે એક ગેર સરકારી સંસ્થા છે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તેમજ કોચીન, બેંગ્લોર, દિલ્લી, હૈદરાબાદ અને મુંબઈની ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. માં હિસ્સો ધરાવે છે.
મુસાફરોનો ડેટા 24 કલાકમાં સર્વરમાંથી ડિલીટ કરી નખાશે
ડિજી-યાત્રા એપમાં મુસાફરોની વ્યક્તિગત ઓળખનો ડેટા સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમમાં સ્ટોર કરવામાં નહી આવે. ઓળખ કાર્ડ અને મુસાફરીની વિગતો પેસેન્જરના ફોનમાં જ સુરક્ષિત વોલેટમાં રાખવામાં આવશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે એપમાં મુસાફરોનો ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવશે, આ માટે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુસાફરોનો ડેટા મુસાફરીના 24 કલાક પહેલા શેર કરવામાં આવશે, અને મુસાફરી પૂર્ણ થયાના 24 કલાકમાં એરપોર્ટના સર્વરમાંથી ફરજિયાત પણે ડિલીટ પણ કરી દેવામાં આવશે.
બોર્ડિંગ પાસ સાથે લિંક કરાશે
હવાઈ મુસાફરી કરનાર મુસાફરે તેનું આધાર કાર્ડ વેરિફિકેશન અને ફોટો ડિજી-યાત્રા મોબાઈલ એપ પર અપલોડ કરવાનો રહેશે. બોર્ડિંગ પાસ એપ પર જ તેને સ્કેન કરવાનો રહેશે. ડિજી-યાત્રા મોબાઈલ એપની માહિતી એરપોર્ટ સાથે શેર કરવામાં આવશે. બોર્ડિંગ પાસના બારકોડને એરપોર્ટના ઈ-ગેટ પર સ્કેન કરવામાં આવશે. અહીં ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી લગાવવામાં આવશે, જેમાં મુસાફરના ચહેરા દ્વારા ઓળખ અને મુસાફરીના દસ્તાવેજોની પુષ્ટિ કરવામાં આવશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુસાફરો ઈ-ગેટ દ્વારા એરપોર્ટમાં પ્રવેશ કરી શકશે. તેમને ફ્લાઈટમાં ચડતી વખતે સુરક્ષા તપાસ અને સામાન્ય પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડશે.
સિંધિયાએ કહ્યું કે ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી દુબઈ, સિંગાપોર, એટલાન્ટા સહિત જાપાનના નરિતા એરપોર્ટ પર અમલમાં છે. આ ટેકનોલોજીને કારણે મુસાફરોનો સમય બચી રહ્યો છે. એટલાન્ટા એરપોર્ટ ખાતે માત્ર 9 મિનિટમાં મુસાફર એરપોર્ટ લોન્જથી ફ્લાઈટમાં ચઢી જતા હોવાનો દાવો કરવામાં આવે છે.
કેવી રીતે કરશો ડિજી યાત્રા એપનો ઉપયોગ
જો તમે પણ આ સુવિધાનો લાભ લેવા ઈચ્છતા હોવ તો આપને જણાવી દઈએ કે તમારે પહેલા તમારા મોબાઈલમાં ડિજી યાત્રા એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યાર બાદ તેમા માંગેલી વિગતો ભર્યા બાદ તમારે આધાર કાર્ડથી ઓથેન્ટિકેશન કરવું પડશે. તમારે આ પ્રક્રિયા માત્ર એક જ વાર કરવી પડશે, અહીં નોંધનીય બાબત એ છે કે આ પ્રક્રિયા OTP આધારિત છે.
જ્યારે પણ તમે ડિજી યાત્રા એપ પ્રક્રિયા પૂર્ણ થયા પછી મુસાફરી કરો છો, ત્યારે તમારે ફક્ત વેબ ચેક ઇન કર્યા પછી આ એપ્લિકેશન પર તમારી ફ્લાઇટની ટિકિટ અપલોડ કરવાની રહે છે. એરપોર્ટ પર પહોંચ્યા પછી, તમારે તમારી એપ્લિકેશનને સ્કેનર પર મૂકવાની રહેશે અને પછી તમારા ચહેરાને સ્કેન કરાવવો પડશે અને તેના આધારે તમે પ્રવેશ કરી શકશો. આ પછી, સુરક્ષા માટે ફેસ સ્કેન અને બોર્ડિંગ સમયે ફેસ સ્કેન કરવામાં આવશે. જે બાદ તમે સરળતાથી એરપોર્ટ-ફ્લાઈટમાં પ્રવેશી શકશો.