National Herald Case: રાહુલ ગાંધીએ ઈડીને ગોળગોળ જવાબ આપ્યા, 3 અધિકારીઓએ ત્રણ કલાક પૂછપરછ કરી
માહિતી મુજબ EDના અધિકારીઓએ રાહુલ ગાંધી પાસેથી વિદેશમાં બેંક ખાતા અને પ્રોપર્ટીની માહિતી લીધી છે. જોકે તે સાચો જવાબ આપી શક્યા ન હતા. એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ રાહુલ ગાંધીના નિવેદનો નોંધ્યા છે.
નેશનલ હેરાલ્ડ કેસ (National Herald Case) સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. પ્રથમ તબક્કામાં એજન્સીના ત્રણ અધિકારીઓએ તેની ત્રણ કલાકથી વધુ પૂછપરછ કરી હતી. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ EDના અધિકારીઓએ રાહુલ ગાંધી પાસેથી વિદેશમાં બેંક ખાતા અને પ્રોપર્ટીની માહિતી લીધી છે. જોકે તે સાચો જવાબ આપી શક્યા ન હતા. એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ રાહુલ ગાંધીના નિવેદનો નોંધ્યા છે. આ દરમિયાન EDની ઓફિસ બહાર કોંગ્રેસનો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.
રાહુલ ગાંધીનો કાફલો ED હેડક્વાર્ટર પહોંચ્યો ત્યારે પ્રિયંકા ગાંધી પણ કારમાં તેમની બાજુમાં બેઠા હતા. આ સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા અને રાહુલ ગાંધીને પોતાનું સમર્થન જાહેર કર્યું.
કોંગ્રેસે રાહુલ ગાંધીની હાજરીને ધ્યાનમાં રાખીને દેશભરમાં ED કાર્યાલયોની બહાર સત્યાગ્રહ કરવાનો નિર્ણય લીધો હતો અને દિલ્હીમાં પણ વિશાળ શક્તિ પ્રદર્શનની તૈયારી કરી રહી હતી. તેને ધ્યાનમાં રાખીને, દિલ્હીમાં મોટા પાયે માર્ચ કાઢવામાં આવી હતી અને પોલીસે ઘણા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી અને પાર્ટી મુખ્યાલયની આસપાસ કલમ 144 લાગુ કરી હતી.
પરવાનગી કરતાં વધુ લોકોના આગમનને કારણે અટકાયત કરવામાં આવી – દિલ્હી પોલીસ
કોંગ્રેસના વિરોધ પર દિલ્હીના સીપી સાગર હુડ્ડાએ કહ્યું, કોંગ્રેસના નેતાઓએ એક મીટિંગ પછી અમને પત્ર લખ્યો હતો, જેમાં 200 કોંગ્રેસી નેતાઓ સહિત વરિષ્ઠ નેતાઓને કોંગ્રેસ હેડક્વાર્ટર જવાની મંજૂરી આપવા કહ્યું હતું. તેમજ કોંગ્રેસના 1000 સમર્થકોને જવાની મંજૂરી આપવા કહ્યુ હતું. અમે 100 લોકોને ત્યાં જવાની મંજૂરી આપી. આ સિવાય પરવાનગી વગર ત્યાં પહોંચેલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. ટ્રાફિક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીની છબી ખરડાઈ રહી છેઃ અધીર રંજન ચૌધરી
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, રાહુલ ગાંધી સાથે આ ષડયંત્ર કોંગ્રેસની છબી ખરાબ કરવા માટે થઈ રહ્યું છે, પરંતુ રાહુલ ગાંધી ડરવાના નથી. તે નિર્ભયપણે બધા પ્રશ્નોના જવાબ આપશે. જ્યારે રાહુલ ગાંધી ઓફિસ ગયા ત્યારે અમારી માગ હતી કે વકીલને અંદર જવા દેવામાં આવે પરંતુ તેમને જવા દેવામાં આવ્યા ન હતા. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે પૂછપરછમાં 2 વકીલો એક વ્યક્તિની સાથે રહી શકે છે. આ માટે અમે પોલીસ અધિકારી સાથે વાત કરી હતી.